Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પતિ-સાસરીયાના ત્રાસથી કંટાળી જેતપુરના લુણાગરા ગામના કાજલબેન બાવાજીનો આપઘાત

તુ ડાકણ છો, તારી બનાવેલ રસોઇ નહિં જમીએ તેમ કહી ત્રાસ ગુજારાતો'તો : ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધીઃ આપઘાત માટે મજબુર કરનાર પતિ-સાસરીયા સામે ગુન્હો નોંધાયો

જેતપુર તા. ૭: જેતપુરમાં લુણાગરા ગામની પરણીતાએ પતિ અને સાસરીયાઓએ ત્રાસ આપતા કંટાળી જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બગસરા ગામે મામાને ઘેર રહેતા કાજલબેનના લગ્ન એક વર્ષ પહેલા તાલુકાના લુણાગરા ગામે રહેતા ભાવેશપરી સુખદેવપરી ગૌસ્વામી સાથે થયેલ હતા.

લગ્નના થોડા સમય બાદ તેનો પતિ ગાળો આપી ઢીકાપાટુનો માર મારતો હોય તેમજ સાસુ સસરા તેણીને રસોઇ બનાવવા ન દેતા અને કહેતા કે તું ડાકણ છો. તારી બનાવેલ રસોઇ નહિં જમીએ. ઘરની બહાર નીકળવા ન દેતા તેમ કહી માનસીક ત્રાસ આપતા હોય સાંજના સમયે કાજલબેને પોતાના ઘેર પંખા સાથે કપડાથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધેલ હતી.

આ અંગેની જાણ કાજલબેનના મામાને કરતા તેઓએ લુણાગરા આવી કાજલબેનને સરકારી હોસ્પીટલે લઇ જતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરેલ. જેથી વિરપુર પોલીસે કાજલબેનના બેન રાજુવનની ફરીયાદ પરથી પતિ ભાવેશપરી સસરા સુખદેવપરી સાસુ મધુબેન ગૌસ્વામી વિરૂધ્ધ આઇ.પી.સી. ૩૦૬, ૩ર૩, પ૦૪, ૪૯૮(ક) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:58 pm IST)