Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વ્યાજના નાણાની ઉઘરાણી કરવા આવેલા

ભાવનગરના બે શખ્સોએકર્મકાંડી બ્રાહ્મણને ઢીબી નાખ્યો!

ભાવનગર તા. ૬: ભાવનગરમાં વ્યાજનાં નાણાની પઠાણી ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ આધેડ વિપ્રને માર મારતાં હોસ્પીટલ ખસેડાયેલ છે.

બનાવની વિગતો એવી છે કે શહેરનાં વાઘાવાડી રોડ રાધા મંદિર માધવ દર્શન પાસે રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં પ્રકાશભાઇ નારણભાઇ વ્યાસ ઉ.વ. પ૮ એ વાળુકડ ગામે રહેતાં અલ્પેશભાઇ કુબરભાઇ બારૈયા પાસે વ્યાજે રૂ. ૧,૯૦,૦૦૦ લીધા હતા અને દર માસે રૂ. ૯૦૦૦ વ્યાજ આપતા હતા.

દરમ્યાન વ્યાજે આપનાર અલ્પેશ બારૈયા અને તેની સાથે એક અજાણ્યો શખ્સ પ્રકાશભાઇ પાસે આવી 'તું બે દિવસથી ફોન કેમ બંધ રાખે છે? તેમ કહી ગાળો આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આ શખ્સોએ ઢોર માર મારતાં લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યાંથી પસાર થતી પોલીસની વાન આવતાં આ શખ્સોનાં સકંજામાંથી પ્રકાશભાઇને છોડાવી સર ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રકાશભાઇને ગંભીર ઇજા પહોંચતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે પ્રકાશભાઇ વ્યાસ એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ બારૈયા અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)