Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા-જુદા ૩ અકસ્માતમાં ૩ના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ હોય તેમ જુદાજુદા ત્રણ અકસ્માતોમાં ત્રણ વ્યકિતના મોત નિપજતા અરેરાટીની લાગણી ફેલાવા પામેલ છે.

પ્રથમ અકસ્માતની વિગત એવી છે કે, વલ્લભ વિદ્યાનગરથી રાજકોટ જવા માટે બાઈક લઈને નીકળેલા કરશનભાઈ ચોટીલા પાસે પહોંચ્યા હતા ત્યારે જલારામ મંદિર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ગંધીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ આ અંગે મૃતકના ભાણેજ રાહુલભાઈ વિનોદભાઈ રૂપારેલીયાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, થાનગઢ તાલુકાના અમરાપર ગામે રહેતા ચતુરભાઈ લઘરાભાઈ ચાવડાના પિતા ૬૦ વર્ષનાં લઘરાભાઈ રામાભાઈ ચાવડા જામવાળી ગામથી આગળ નવા બનતા પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે થાનગઢથી ચોટીલા તરફ જતી ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી લઘરાભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી તેમનું ઘટનાસ્થળેજ મોત નિપજેલ હતુ. બનાવ અંગે ચતુરભાઈએથાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ત્રીજી અકસ્માતની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના કોલહાપુરથી ખાંડની બોરીઓ ભરીને ગાંધીધામ, ભુજ ખાતે ખાલી કરવા નીકળેલો ટ્રક માલવણ ચોકડી થઈ ધ્રાંગધ્રા તરફ જતા ક્રિષ્ના હોટલ પાસે પહોંચ્યો ત્યારે ક્રિષ્ના હોટલ પાસે ટ્રકના ડ્રાઈવર નવનાથ ખામકરે આગળ જતા અન્ય વાહનના પાછળના ભાગે ટ્રક ભટકાડતા સહ ડ્રાઈવર સંજય બંધુ ભોસલેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજેલ હતુ.

(12:15 pm IST)