Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલ છ ભાઇઓના કલોલા પરીવારના મોટા અને નાના ભાઇએ એક સાથે અનંતની વાટ પકડતા પરિવાર શોકમલગ્ન

નાનાભાઈ એક માસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા જયારે મોટાભાઈ એક સપ્તાહ પહેલા જ કોરોના સંક્રમિત થયા હતા બંનેના માત્ર અડધો કલાકના અંતરે નિધન થયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૬: કુદરતની લીલા અપરંપાર હોય છે એ કાળા માથાનો માનવી જાણી શકતો નથી ગોંડલના કલોલા પરીવારના કોરોનાથી સંક્રમિત થયેલા મોટા અને નાના ભાઇના અડધો કલાકના અંતરે નિધન થતા પરિવાર પર આભ તૂટી પડવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર આવેલ ડેકોરા સીટીમાં રહેતા અને નિવૃત્ત્। જીવન જીવતા ધાર્મિક સ્વભાવના ભગવાનજીભાઈ કાનજીભાઈ કલોલા ઉંમર વર્ષ ૭૫ નું ગતરાત્રીના સવા નવ વાગ્યે કોરોના ના કારણે નિધન થયું હતું કુદરતની કરુણતા એ હતી કે ભગવાનજીભાઈ નાનાભાઈ ચંદુભાઈ છેલ્લા એક માસથી કોરોના સંક્રમિત હોય વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓને ભગવાનજીભાઈના નીધનની ખબર પણ થવા દેવામાં આવી ન હતી પરંતુ રાત્રિના જ પોણા દસ વાગ્યે ચંદુભાઈએ પણ મોટા ભાઈની સાથે સાથે અનંતની વાટ પકડી લેતા કલોલા પરીવાર પર આભ તૂટી જવા પામ્યું છે.

કરૂણ બનાવ અંગે ભગવાનજીભાઈ પુત્ર સતિષભાઈ કલોલ આવે જણાવ્યું હતું કે ચંદુભાઈ કલોલા દેવડા મુકામે ડેમ ઉપર પીજીવીસીએલમાં સર્વિસ કરતા હતા

ગત ૨ એપ્રિલના વેકસીન લીધા બાદ ૮ એપ્રિલના કોરોના પોઝિટિવ થયા હતા હોમ કોરન્ટાઇન રહેવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયારે ભગવાનજીભાઈ ગત સપ્તાહે કોરોના સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પરંતુ તેમની સારવાર કારગત ન નિવડતા રાત્રિના સવા નવે નિધન થયું હતું જેની જાણ ચંદુભાઈને થવા દેવામાં આવી ન હતી તેમ છતાં પણ માત્ર અડધો કલાકના અંતરે ચંદુભાઈનું પણ નિધન થતાં પરિવાર શોકમગ્ન થઇ જવા પામ્યો છે, છ ભાઈઓના પરિવારમાં ભગવાનજીભાઈ સૌથી મોટા હતા અને ચંદુભાઈ સૌથી નાના હતા એકસાથે પરિવારના બે વ્યકિતઓના નિધન થતા હાલ કલોલા પરીવાર ગહેરો શોક અનુભવી રહ્યા છે.

(11:41 am IST)