Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓકસીજન પ્લાન્ટ માટે રૂ. ૫૦ લાખનું અનુદાન

લીલાવતી ગેસ્ટહાઉસના ૭૨ રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને અપાયા : કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ ખંભેખભા મીલાવીને કરે છે સેવા

પ્રભાસ પાટણ તા. ૬ : હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર અને આરોગ્ય વિભાગ સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્ત્।મ સારવાર મળે અને બેડ, ઓકસીજનની સુવિધામાં વધારો કરવા જિલ્લા કલેકટરના અજય પ્રકાશનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યો છે. ત્યારે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી ખંભેખભા મીલાવીને કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે.

સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રીમસ્થાને હોય છે. સોમનાથ ટ્રસ્ના ટ્રસ્ટી પી.કે.લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રહે છે અને મુશ્કેલી સમયમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓકસીજન પ્લાન્ટ માટે રૂ. ૫૦ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે. વેરાવળ શહેર તથા આસપાસના ગામડાઓના લોકોને કોરોના સારવાર માટે ઓકસીજનની જરૂરીયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓકસીજન મળી શકશે.

ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના ૭૨ રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. દરરોજ ૨૦૦થી વધુ કોરોના પોઝીટીવ હોય અને હોમ આઇસોલેશનમાં હોય તેવા વ્યકિતઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે. કોરોના સામેની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપતો લોકહીત સહકાર ખરેખર પ્રશંસનીય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી રહી છે. ત્યારે ઓકસજન, વેલ્ટીનેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવા રાજય સરકાર રાત-દિવસ પ્રયત્નશીલ છે. ત્યારે આવી ધાર્મીક - સામાજિક સંસ્થાઓ આગળ આવી સરકારની સાથે ખંભેથીખંભા મીલીવીને સેવા આપે તો કોરોનાને નાબુદ કરવાના આ અભિયાનને ટુંકા ગાળામાં સાર્થક કરી શકાશે.

(10:26 am IST)