Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પોરબંદરમાં નોનવેજની રેંકડી ધારકોની મનાઇ હુકમની અરજીને કોર્ટે ફગાવી દીધી

પોરબંદર, તા. ૬ : પોરબંદરમાં નોનવેજની રેકડી સંબંધે કોર્ટે મહત્વનો ચુકાદો આપીને રેકડી ધારકોની મનાઇ હુકમ અરજી રદ કરી હતી.

પોરબંદરમાં ત્રણ-ચાર મહિના પહેલા પોરબંદરની ચોપાટી પાસે ચાઇનીજ તથા નોનવેજની રેકડીઓ ઉભી હોય, તેને નગરપાલીકાએ દૂર કરાવતાં તે સબંધે ઉગ્ર વિરોધ થયેલો હો, અને સામ-સામા ખુબજ આક્ષેપો પણ થયેલા અને રાજકીય વાતાવરણ પણ ખુબ જ ગરમાઇ ગયેલુ હતું અને રેકડી ધારકો દ્વારા આંદોલન પણ કરેલુ હતુ, અને પોતાની રેકડીઓ હટાવે નહીં તે સબંધે પોરબંદરની કોર્ટમાં દાવો કરેલો હતો.

આ દાવામાં મનાઇ હુકમની માંગણી કરેલ હતી., તે સંબંધે નગરપાલીકા વતી દિપકભાઇ બી. લાખાણી રોકાયેલા હતા. અને તેઓએ વિગતવાર જવાબ રજુ કરેલો હતો. અને તેમાં તકરાર લીધેલી હતી કે કોઇપણ વ્યકિતને ફિકસ જગ્યાએ ઉભવાનો અને કાયમી રીતે જગ્યા પચાવી પાડવાનો કોઇ હકક, અધિકાર નથી અને કાયદા મુજબ પણ કોઇપણ રેકડી હરતી-ફરતી રાખવી ફરજીયાત છે અને તે સબંધે વિગતવાર જવાબ રજુ કરતા નામ. કોર્ટમાં તે સંબંધે હિયરીંગ થયેલું હતુ અને હિયરીંગમાં પણ કોઇ રેકડી ધારકને ફિકસ જગ્યાએ ઉભવાનો કાયદામાં કયાંય, હક, અધિકાર આપવામાં આવેલ ન હોય, અને તે સંબંધે ગુજરાત હાઇકોર્ટની તથા નામ,. સુપ્રીમ કોર્ટની અલગ-અલગ ઓથોરીટીઓ રજુ કરતા અને જાહેર હિતમાં નગરપાલીકાને કોઇપણ રેકડી હટાવવાનો કે કોઇ જગ્યાએ ઉભી રાખવા ન દેવાનો બંધારણીય હકક હોવાનું જણાવતાં અને તે સંબંધેની વિગતવાર દલીલો કરેલ.

પોરબંદરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબશ્રી મનસુર દ્વારા રેકર્ડ ઉપરની તકરાર તથા કાયદાકિય જોગવાઇઓ ધ્યાને લઇ રેકડી ધારકોની મનાઇ હુકમની અરજી રદ કરેલી હતી અને તે રીતે નગરપાલીકાની તરફેણમાં ચુકાદો આપેલ હતો, અને કોઇપણ રેકડી નડતર રૂપ હોય તો ઉપડાવી લેવાનો અને કોઇપણ રેકડીને એક જ જગ્યાએ ઉભી રાખવાનો હકક ન હોવાનું જણાવી સીમા ચિન્હ રૂપ ચુકાદો આપેલ છે. અને તે રીતે નગરપાલીકાને કોઇપણ નડતર રૂપ રેકડી હટાવવાનો કે ઉપડાવી લેવાનો હકક, અધિકાર હોવાનું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.

આ કામમાં પોરબંદર નગરપાલીકા વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી તથા હેમાંગ ડી. લાખાણી રોકાયેલા હતા.

(12:23 pm IST)