Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા

ગીર-સોમનાથ તા. ૬ : ગીર-સોમનાથ જિલ્લામાં આગામી તા. ૧૨ માર્ચ થી ધો. ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ ની પરીક્ષા યોજાનાર છે. જે સંદર્ભે વેરાવળ સ્થિત મણીબેન કોટક હાઇસ્કુલનાં પ્રાર્થના ખંડમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખનાં અધ્યક્ષસ્થાને સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સામૂહિક પ્રયાસો કરવા જરૂરી છે તેમ જણાવી કહ્યું કે, પરીક્ષાના નિતી-નિયમો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓ પરીક્ષા દરમ્યાન કોઇપણ જાતનાં માનસિક તણાવમાં ન રહે તેની ખાસ કાળજી લેવી આવશ્યક છે. સી.સી.કેમેરાને યોગ્ય જગ્યાએ લગાડવા, પરીક્ષા દરમ્યાન ફરજમાં રોકાયેલ તમામ કર્મચારીઓને ફરજીયાત આઇકાર્ડ લગાડવા, બાળકોને પરીક્ષા ખંડમા પ્રવેશ આપતા પહેલા તેનું સદ્યન ચેકીંગ જેવી બાબતો પર ખાસ ધ્યાન રાખવા સુચનાઓ આપી હતી. તેઓશ્રીએ વધુમાં કહ્યુ હતું કે, પરીક્ષામાં ચોરીનાં દુષણને ડામવું એ આપણા સૈાની સહીયારી જવાબદારી છે, જે આપણે સૈાએ ઇમાનદારી પૂર્વક નિભાવવી જોઇએ.

આ તકે જિલ્લા આચાર્ય સંઘનાં પ્રમુખશ્રી નવઘણ ડોડીયા, બોર્ડ મેમ્બર નરેન્દ્રભાઇ વાઢેર, ઉચ્ચ.મા.શાળા સંઘનાં પ્રમુખ કાળુભાઇ ડોડીયા, ઝોનલ ઓફીસર હરેશ રાઠોડ, રાજેશ ડોડીયા અને વાજાભાઇએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં થતી ચોરીથી બાળકોમાં છુપાયેલી સ્કીલ બહાર નહી આવી શકે. જેથી આપણે સૈાએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી ના કરે તેવું વાતાવરણ નિર્માણ કરવાનું છે. સાથે-સાથે પરીક્ષા દરમ્યાન સુચારૂ વ્યવસ્થા, મુલાકાત રજીસ્ટરની નિભાવણી અને જાહેરનામું પરીક્ષા સ્થળે યોગ્ય જગ્યાએ પ્રદર્શીત કરવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ સંઘના હોદેદારો, આચાર્યશ્રી ભુપેન્દ્રભાઇ જોષી, શિક્ષણ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં શાળાનાં સંચાલકો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 am IST)