Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કાલે ઉપરાષ્‍ટ્રપતિ વેકૈંયા નાયડુ દ્વારકાધીશ ભગવાનના દર્શને : ભૂપેન્‍દ્રભાઇ આવકારશે

કાલે જામનગર એરપોર્ટ ખાતે સવારે આગમન થશે : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ જામનગરમાં લમ્‍પી વાયરસ અંગે ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૫ : ઉપરાષ્‍ટ્રપતિ કાલે સવારે દ્વારકાધીશ ભગવાનના દર્શને આવી રહ્યા છે. કાલે સવારે જામનગર એરપોર્ટ ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપરાષ્‍ટ્રપતિનું સ્‍વાગત કરશે.
ઉપરાષ્‍ટ્રપતિ વેકૈંયા નાયડુ કાલે સવારે દિલ્‍હીથી જામનગર એરપોર્ટ ઉપર આવશે. ત્‍યાંથી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જશે. જામનગર એરપોર્ટ ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા કમિશનર અને કલેકટર તથા અન્‍ય હોદ્દેદારો ઉપરાષ્‍ટ્રપતિનું સ્‍વાગત કરશે.
દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા બાદ ઉપરાષ્‍ટ્રપતિ વેકૈંયા નાયડુ પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂ. મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરશે. ત્‍યારબાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્‍યાંથી દિલ્‍હી જવા રવાના થશે.
મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ કાલે જામનગર ખાતે લમ્‍પીગ્રસ્‍ત ગૌશાળાઓની મુલાકાત લેશે તેમજ આ મુદ્દે ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.
જામનગરમાં ઉપરાષ્‍ટ્રપતિ અને મુખ્‍યમંત્રીના આગમનને લઇને ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. પોલીસ કમિશનર પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં જુદી-જુદી ટીમો બનાવીને જુદા-જુદા વિસ્‍તારોમાં ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

(11:28 am IST)