Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કચ્છના માધાપરની વિરાંગનાઓ ૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી પોતાના ઘર પર શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવશે

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુધ્ધમાં બોમ્બમારા વચ્ચે ભુજ એરપોર્ટ પર હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

"હર ઘર તિરંગા'' અભિયાન સમગ્ર દેશભરમાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી યોજાનાર છે. ત્યારે વર્ષ ૧૯૭૧ના યુધ્ધમાં પાકિસ્તાનના લશ્કરી વિમાનોએ બોમ્બ ફેંકીને હવાઇપટ્ટીને નુકશાન પહોંચાડ્યું હતું ત્યારે જીવના જોખમે એક જ રાતમાં રન-વે બનાવનારી ભુજ તાલુકાના માધાપર ગામની વિરાંગનાઓએ સમગ્ર દેશ અને કચ્છવાસીઓને દેશની આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ઘર ઘર લહેરાવવા અપીલ કરી હતી.

જીવનના સાતમાં દાયકામાં પહોંચેલી વીરાંગનાઓ કાનબાઇ શિવજી, સામુબેન ખોખાણી, સામુબેન ભંડેરી અને રતનબેન હિરાણીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશને અમારી જરૂરિયાત પડી હતી ત્યારે અમે પરિવાર અને નાના બાળકોની પરવા કર્યા વગર જીવના જોખમે રન-વે બનાવવાની કામગીરી કરી હતી. માત્ર એક હાકલ પર અનેક મહિલાઓએ ઘરબાર છોડીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી બોમ્બવર્ષા વચ્ચે ભુજની હવાઇપટ્ટીને રાતોરાત તૈયાર કરીને દેશના રક્ષણમાં અમારૂ યોગદાન આપ્યું હતું. કોઇપણ સંજોગો હોય રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ. આ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક નાગરિકને હર ઘર તિરંગા લહેરાવવા આહવાન કર્યું છે ત્યારે આ અભિયાનમાં અમે મોખરે રહીશું. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી અમે અમારા ઘર પર દેશની એકતા અને ગૌરવના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજને જરૂરથી ફરકાવીશું.

વીરાંગનાઓએ દેશ અને કચ્છવાસીઓને પણ દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દરેક નાગરિકની ફરજ છે કે દેશના ગૌરવ રાષ્ટ્રધ્વજને પુરતા માન-સન્માન સાથે લહેરાવે. આપણા આઝાદીના ઘડવૈયાઓએ આપણી માટે શહીદી વહોરીને રાષ્ટ્રને સ્વતંત્ર કર્યું છે ત્યારે તા. ૧૩ થી ૧૫ સુધી આપણે તિરંગાને ફરકાવીને પુરતા માન-સન્માન સાથે શાનથી સલામી આપીને શહીદોને પણ દિલથી યાદ કરીએ.

(9:58 am IST)