Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કલ્યાણપુરના દેવળીયામાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ ઝડપાયો

પિતા દિકરીના ઘરે મળવા ગયા ત્યાં દિકરીની લાશ લોહીથી લથબથ જોતા ચિંસ નિકળી ગઇ : દંપતી વચ્ચેના ગૃહકંકાસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે વર્ષની બાળકીએ માતાની છત્રછાંયા ગૂમાવી

ખંભાળિયા તા. પ : કલ્યાણપુરના દેવળીયા ગામે દંપતિ વચ્ચેના ગૃહકંકાસે મોટુ સ્વરૂપ લઇ લેતા પતિએ પત્નીની ત્રિકમના હાથા વડે માર મારી દોરડાથી ગળેટંપો આપી ક્રુરતાપુર્વક હત્યા નિપજાવતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ મૃતક પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરીયાદના આધારે ગણતરીની કલાકમાં જ પતિની ધરપકડ કરી હતી.

મુળ ચાચલાણા અને હાલ દેવળીયા ગામે રહેતા જસમતપરી જેરામપરી ગોસ્વામી અને પત્ની રેખબેન વચ્ચે ગત તા.૩ ના રોજ રાત્રીના કોઇપણ બાબતે ઝગડો થતા પતિ જસમતપરીએ ઉશ્કેરાઇ જઇ ઘરમાં પડેલા ત્રિકમના હાથા વડે પત્ની રેખાબેનના માથામાં ઘા મારતા રેખાબેન લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા એમ છતાં પતિ જસમતને જીવ ગયો હોય તેવું ન લાગતા દોરડા વડે ગળેફાંસો દઇ ક્રુરતા પૂર્વક પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

બનાવ અંગે મૃતક પરિણીતાના પિતા જેરામગર લખમણગર રામદતીએ કલ્યાણપુર પોલીસ મથકમાં જમાઇ જસમતપરી જેરામપરી ગોસ્વામી વિરૂદ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં રેખા ત્રિજા નંબરે હતી અને ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન જસમતપરી સાથે કર્યા હતા. જેમાં સંતાનમાં ર વર્ષની પુત્રી માનસી છે. જમાઇ-પુત્રી દોઢેક વર્ષથી દેવળીયા ગામે રહે છે અને જમાઇ જસમતપરી દરજી કામ કરે છે. દિકરી ઘરે આંટો મારવા આવતી ત્યારે અવાર-નવાર વાત કરતી કે પતિ જસમતપરી નાની-નાની બાબતોએ ઝગડા કરી હેરાન-પરેશાન કરી મારકુટ કરે છે. પરંતુ અમે આશ્વાસન આપતા હતા કે સારૃં થઇ જશે.

દરરોજની જેમ ગઇકાલે પણ પુત્ર કમલેશના બાળકોને દેવળીયા ગામે શાળાએ મુકવા ગયો હતો ત્યારે પૌત્રોને શળાએ મુકી દીકરી રેખાના ઘરે આંટો મારવા ગયો હતો. ત્યાં જઇને જોયું તો દરવાજો બંધ હતો મેં અવાજ કર્યો છતાં પણ દરવાજો ન ખોલતા દરવાજાને ધક્કો મારી રૂમાં જોતા દિકરી લોહીથી લથબથ હાલતમાં પડી હતી અને બે વર્ષની પુત્રી માનસી તેની બાજુમાં સુતી હતી આ જોતા જ હું બાજુમાં રહેતા શિક્ષક નાથાભાઇના ઘરેજઇ તેને જાણ કરી હતી જે બાદ મારા ભાઇઓને જાણ કરતા બધા આવી ગયા હતા.

બનાવ અંગે કલ્યાણપુર પોલીસને જાણ કરતા પીએસઆઇ ઓડેદરા, રાઇટર હરદાસભાઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે મૃતક પરિણીતાના પિતાની ફરીયાદના આધારે જમાઇ જસમતપરી જેરામપરી ગોસ્વામી વિરૂદ્ધ કલમ ૪૯૮(એ) ૩૦ર મુજબ ગુનો નોંધી ગઇરાત્રે જ જસમતપરીની દેવળીયા પાટીયા પાસેથી કલ્યાણપુર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 pm IST)