Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

તળાજાના કુંઢેલી ખાતેથી ૨૧માં વર્ષે પણ દ્વારકા જવા ૧૨૫ પદયાત્રીઓ રવાના

કુંઢેલી તા.પ : સતત ૨૧માં વર્ષે તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતેથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો આજથી સવાસો પેદલ યાત્રીઓએ પ્રારંભ કરેલ છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બહેનો ભાઇઓ સહિત ૧૨૫ શ્રધ્ધાળુઓ યાત્રાઓએ જગતમંદિર દ્વારકા સુધીની સળંગ ૨૧મી પગપાળા યાત્રા શરૂ કરી ત્યારે સૌએ જય દ્વારકાધીશના જયનાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.

પદયાત્રીઓ સતત ચાલતા રહી પદયાત્રાના માર્ગે આવતા તિર્થસ્થળો બગદાણા, તુલશીશ્યામ, દ્રોણેશ્વર, પ્રાચી, સોમનાથ, પોરબંદર, ગોરખમઢી, ભાલકાતીર્થ, નરવાઇ, માધવપુર, હરસિધ્ધિ માતાજી વિસાવાડા થઇને તેર દિવસે જગત મંદિર દ્વારકા જશે. ભોજન, ભજન, સંકીર્તન અને સત્સંગ સાથે પદયાત્રાના યાત્રાળુઓ નાગેશ્વર,બેટ દ્વારકા, હનુમાનમઢી અને ચોર્યાસી ધુણાના દર્શન કરી ધન્ય થશે.

નજીકના ટાઢાવડ ગામના ભગત વજાભાઇ રામસંગભાઇ ચારડીયાની આગેવાની સાથે આજુબાજુના ટાઢાવડ, નેસવડ, ભાંખલ, લવરડા, પાનસડા, દિહોર, સરતાનપર, રેલીયા, રાતાખડા, કુંઢડા, હાજીપાર, પાંડેરીયા, નવાગામ, પાદરી, પીપરલા, મઢડા સહિતના ૧૫ ગામોના પદયાત્રી બહેનો ભાઇઓ આ પદયાત્રામાં ભાવભેર જોડાયા છે.

(11:46 am IST)