Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ભાણવડમાં બાળકોના વિરહમાં ઝૂરતા યુવકે તાણી મોતની સોડ

બાળકોને સાથે લઇ પત્નિ રીસામણે ચાલી જતાં

વેરાવળ તા. ૫ : ભાણવડના રામેશ્વર પ્લોટમાં રહેતા અને ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા દલીત યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

પતિ-પત્ની વચ્ચેના મનમેળના અભાવે આમ સમાજમાં બનતા અઘટિત બનાવના આ કિસ્સામાં પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ સુભાષ ચનાભાઇ બાટા (ઉ.૩૫) ઘરસંસારમાં થતા અવાર-નવારના ઝઘડાઓને કારણે આશરે સાતેક માસથી તેમના પત્ની બે સંતાનોને લઇ તેમના માવતરને ત્યાં રીસામણે ચાલ્યા ગયા હતા. પત્ની સાથે જતાં રહેલા પોતાના પુત્ર - પુત્રીનો વિરહ સહન ન કરી શકતો સુભાષ તેમના સાસરે પત્નીને મનાવી ઘરે લઇ આવવા માટે ચાર-પાંચ દિવસ પહેલા ગયો હતો પરંતુ પત્ની આવવા તૈયાર ન થતાં સુભાષ એકલો પરત ફર્યો હતો પરંતુ પોતાના બે બાળકોનો વિરહ સહન કરવો ભારે થઇ પડયો હતો અને અંતે ગતરાત્રીના પોતાના ઘરે એકલો હતો ત્યારે બાળકોનો વિરહ સહન કરવા કરતા મોત વ્હાલુ કરી લેવાનો નિર્ધાર કરી ગળેફાંસો ખાઇ લીધો હતો અને જ્યારે મોડે સુધી ઘરમાં કોઇ ચહલ-પહલ ન સંભળાતા આસપાસના લોકોએ એકઠા થઇને દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઇ જવાબ ન મળતા કશુંક અજુગતું બન્યાની શંકા પડી હતી અને યુવકના પરિવારજનોને જાણ કરી પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસની હાજરીમાં ઘરના દરવાજા ખોલતા ફાંસો ખાધેલી હાલતમાં જ યુવકનો દેહ લટકતો નજરે પડયો હતો જેને ઉતારી પોલીસે ભાણવડ સરકારી દવાખાને ખસેડતા ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કરેલ.

યુવકના ગળેફાંસો ખાઇ લેવાની ઘટનાથી સમાજના લોકોમાં અરેરાટી મચી ગઇ હતી. યુવકના આપઘાત અંગે ભાણવડ પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

(12:44 pm IST)