Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

અમરેલીના ૨૨ ગામોના ૮૦ જરૂરીયાતમંદ પરિવારોને મફત પ્લોટ

અમરેલી : 'અમે તો સપને પણ કયારેય નહોતું વિચાર્યું કે અમારી પણ કયારેય પોતાનો પ્લોટ મળે જેમાં અમે અમારા સપનાનું ઘર બાંધી શકીએ' આ શબ્દો છે લાલાવદરના અનુસૂચિત જાતિના લાભાર્થી શ્રી ભવાનભાઈ માધડના. વધુમાં ભવાનભાઈ કહે છે કે અમે વર્ષોથી પતરાના મકાનમાં ભાડે રહીએ છીએ પરંતુ આજનો પ્લોટની ફાળવણીનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે. રાજયની સરકારે અમારા સપનાને સાકાર કર્યું છે હવે અમે પણ અમારા બાળકોને અને પરિવારજનોને અન્ય સુખી પરિવારોની જેમ સારી સુવિધાઓ સભર જિંદગી આપવા સમર્થ બનીશું. તેઓએ ઉમેર્યું હતું કે દિવાળીના પાવન તહેવારોમાં મળેલા પ્લોટ અમારા અંધકારમય જીવનમાં નવો ઉજાશ પાથરશે એવો વિશ્વાસ છે.

અમરેલી વહીવટી તંત્ર દ્વારા આજે અમરેલી તાલુકાના ૨૨ ગામોના વિવિધ સમાજના ૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને તાલુકા લેન્ડ કમિટી દ્વારા પ્લોટની ફાળવણી કરી દિવાળીની અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કમિટીની બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલિયા અને ઉપપ્રમુખ વનરાજ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય લાભાર્થી હિંમતભાઈ મોરવાડીયાએ પ્લોટની ફાળવણીની પ્રક્રિયામાં સહકાર આપનારા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે અમરેલીના દરેક અધિકારીઓએ ફોર્મ ભરવાથી માંડી દરેક તબક્કે અમને પૂરો સહકાર આપ્યો છે. પ્લોટની ફાળવણી કરી સરકારે ખરા અર્થમાં અમારી દિવાળી સુધારી દીધી છે. આ દિવાળી અમારા પરિવારની આજ સુધીની શ્રેષ્ઠ દિવાળી છે. અમારા જેવા ગરીબ કુટુંબનું આટલું ધ્યાન રાખે છે ત્યારે રાજયની સરકાર અને અધિકારીશ્રીઓને અમારા આશીર્વાદથી વિશેષ બીજું શું આપી શકીએ?

આંકડાકીય વિગતો આપતા અમરેલી તાલુકા વિકાસ અધિકારી કે. જે. આચાર્યએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના કુલ ૨૨ જેટલા ગામોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ જેવા વિવિધ સમાજના પરિવારો તરફથી ૧૪૬ જેટલી અરજીઓ મળી હતી. જેમાં વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી કુલ ૮૦ જેટલી અરજીઓ માન્ય રાખી આજે મંજૂરી આપવામાં આવી હતી.

આલેખન : સુમિત ગોહિલ,

જિલ્લા માહિતી કચેરી, અમરેલી

(12:47 pm IST)