Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

વાંકાનેરમાં આર્થિક ભીંસથી કંટાળી ૨૨ વર્ષના સિધ્ધાર્થનો સળગીને આપઘાત

કાળી ચોદસની રાતે જાત જલાવીઃ દિવાળીની સવારે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૪: વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતાં સિધ્ધાર્થ શિવરામભાઇ ખાંડેખા (ઉ.વ.૨૨) નામના રાજગોર બ્રાહ્મણ યુવાને કાળી ચોદસની રાતે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ દિવાળીની સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આપઘાત કરનાર સિધ્ધાર્થ એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા ટોલનાકે નોકરી કરે છે. સિધ્ધાર્થ ગેરેજમાં કામ કરતો હતો અને કુંવારો હતો. આર્થિક ભીંસ ઉભી થઇ હોઇ તહેવારના દિવસોમાં પણ પૈસાની વ્યવસ્થા ન થઇ શકતાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. એકના એક દિકરાના આ પગલાથી તહેવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.

(11:20 am IST)