Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

મોરબીમાં પ્રેમપ્રકરણમાં રાહુલ રાવળદેવને પ્રેમ ઓડે પતાવી દીધો

ઘરે રીંગણા બટેટાનું શાક બનાવ્યું હોઇ તે ન ખાવું હોવાથી બહાર જમવા ગયો ને પડખામાં છરીનો ઘા ઝીંકાયોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ ૨૦ વર્ષનો રાહુલ પડોશી ઓડ યુવતિ સાથે સંપર્ક ધરાવતો હોઇ તેણીના પિત્રાઇ ભાઇ પ્રેમે સમજાવ્યો હતોઃ આમ છતાં ન સમજતાં ઢાળી દીધોઃ શકમંદ આરોપી સકંજામાં: અગાઉ યુવતિના મંગેતર ઉપર રાહુલ અને તેના માતાએ હુમલો કરતાં તે અંગે પણ ફરિયાદ થઇ હતી

હત્યાનો ભોગ બનનાર રાહુલ ભોજકનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ પ્રવિણ વ્યાસ)

રાજકોટ તા. ૪: મોરબીમાં રાત્રીના ૨૦ વર્ષના રાવળદેવ યુવાનને રવાપર રોડ પર પડખામાં છરીનો ઘા ઝીંકાતા લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.  યુવાન રાત્રે બહાર જમવા ગયો હતો અને રસ્તામાં તેને આંતરી હુમલો કરાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર યુવાન પડોશી ઓડ યુવતિ સાથે સંપર્કમાં હતો.  તેણીના પિત્રાઇને આ બાબત પસંદ ન હોઇ જેથી તેણે સમજાવ્યો હતો. પરંતુ તે સમજતો ન હોઇ તેણે છરીનો એક જ ઘા ઝીંકી દીધો હતો જે જીવલેણ નીવડ્યો હતો. પોલીસે શકમંદ ઓડ શખ્સને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

મોરબી કાલિકા પ્લોટમાં રહેતો રાહુલ અશ્વિનભાઇ ભોજક (ઉ.૨૦) નામનો રાવળદેવ યુવાન રાત્રીના એકાદ વાગ્યે રવાપર રોડ પર જ્યોતિ નામની ઓફિસ નજીક રોડ પર છરીના ઘા ઝીંકાયેલી હાલતમાં લોહીલુહાણ પડ્યો હોઇ પરિવારજનોને જાણ થતાં તાકીદે દોડી જાઇ મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે મોરબી પોલીસને જાણ કરી હતી.

હત્યાનો ભોગ બનનાર રાહુલ ત્રણ ભાઇમાં મોટો હતો અને લખધીરપુરમાં જય ગણેશ સિરામીકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તેના બે નાના ભાઇઓના નામ કિશન અને તુષાર છે. પિતા અશ્વિનભાઇ નાનજીભાઇ ભોજક રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

રાહુલના માતા ભારતીબેને ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘરે રાત્રે રીંગણા બટેટાનું શાક બનાવ્યું હોઇ તે રાહુલને ભાવતું ન હોઇ જેથી તે પોતે બહાર જમવા જાય છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં તેને કોઇએ છરી ઝીંકી દીધાની અને રોડ પર પડ્યો હોવાની જાણ  થતાં પોતે અને પરિવારજનો દોડી ગયા હતાં અને તેને હોસ્પિટલે ખસેડ્યો હતો.

પ્રારંભે તો હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે પોલીસને માહિતી મળી નહોતી. પણ વિશેષ તપાસ થતાં રાહુલને પડોશમાં જ રહેતાં પ્રેમ દિપકભાઇ ઓડ નામના શખ્સ સાથે જુનું મનદુઃખ ચાલતું હોઇ તે તરફ તપાસ થતાં અને પ્રેમ ઉર્ફ પ્રેમજીને ઉઠાવી લઇ પુછતાછ થતાં ભેદ ખુલી ગયો હતો. રાહુલને પ્રેમ ઓડે જ પડખામાં છરીનો એક ઘા ઝીંકી દીધાનું ખુલ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વાત બહાર આવી હતી કે રાહુલ પડોશી ઓડ શખ્સ પ્રેમની પિત્રાઇ બહેનની છેડતી કરતો હતો. તેને પ્રેમએ અવાર-નવાર સમજાવ્યો હોવા છતાં તે સમજતો ન હોઇ આ કારણે પ્રેમ ઉશ્કેરાયો હતો અને ગત રાત્રે રાહુલ અને પ્રેમ ભેગા થઇ જતાં બોલાચાલી બાદ પ્રેમ છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. પ્રાથમિક તબક્કે આટલી માહિતી બહાર આવી હતી. જો કે વિશેષ તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ હત્યા થયાનું બહાર આવતાં તે મુજબની ફરિયાદ નોંધવા તજવીજ થઇ રહી છે.

રાહુલના માતા ભારતીબેને વધુમાં જણાવ્યું હતું કે અગાઉ રાહુલ પર પડોશી ઓડ યુવતિના મંગેતરે હુમલાનો પ્રયાસ કરતાં તેના પર પોતે અને રાહુલે વળતો હુમલો કરતાં તેનું માથુ ફુટી ગયું હતું. તે વખતે પોતાની અને રાહુલની ધરપકડ પણ થઇ હતી. ત્યારથી ઓડ પરિવાર સાથે મનદુઃખ ચાલતું હતું. સવારે પોલીસ પ્રેમને પકડી ગઇ ત્યારે પોતાને આ હત્યામાં તેની સંડોવણી હોવાની ખબર પડી હતી.

રાહુલનું પોસ્ટ મોર્ટમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. યુવાન દિકરાની હત્યાથી રાવળદેવ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પી.આઇ. આર. જે. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. પટેલ, રાઇટર  મહેન્દરસિંહ જાડેજાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(11:33 am IST)