News of Wednesday, 4th September 2019
સુરેન્દ્રનગર, તા.૪: રાજયના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને રમત-ગમત રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઋષિ પંચમીના પવિત્ર દિને વિશ્વપ્રસિધ્ધ તરણેતરના લોકમેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન અર્ચન કર્યું હતુ. આ પ્રસંગે રમત – ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ કે, તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકસ થકી રાજય સરકારે પ્રાચીન રમતો જીવંત બનાવી છે.
આ પ્રસંગે મંત્રીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુ હરિફાઈમાં ચેમ્પીયન ઓફ ધ શો પુખ્ત જાફરાબાદી નર પાડાની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ સાળંગપુરના જાફરાબાદી નર પાડા માટે બી.એ.પી.એસ. ગૌ શાળા ટ્રસ્ટ – સાળંગપુરને રૂપિયા ૫૧,૦૦૦/-, જાફરાબાદી ભેંસની કેટેગરીમાં પ્રથમ આવેલ ભેંસના માલીક રૂડાચ કિશોરભાઇ જેઠાભાઈને રૂપિયા ૨૫,૦૦૦/-, ગીર ગાયની કેટેગરીમાં પ્રથમ આવેલ ગાયના માલીક યુવરાજસિંહ પરમારને રૂપિયા ૨૫,૦૦૦/-, કાંકરેજ સાંઢની કેટેગરીમાં પ્રથમ આવેલ સાંઢ માટે જયબજરંગ સેવા ટ્રસ્ટ ગૌ શાળાને રૂપિયા ૨૫,૦૦૦/- તેમજ બન્ની ભેંસની કેટેગરીમાં પ્રથમ આવેલ ભેંસના માલીક ગાગલ મહેશ લખણાને રૂપિયા ૨૫,૦૦૦/- ના પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.ઙ્ગ
આ તકે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદારોની ચકાસણી કાર્યક્રમ (ઇ.વી.પી.) અંતર્ગત તરણેતરના લોકમેળામાં શરૂ કરવામાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. તે સમયે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે ઇ.વી.પી. અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સપ્ટેમ્બર માસ દરમિયાન હાથ ધરાનાર મતદાર ચકાસણી કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રાએ અને અંતમાં આભારવિધિ શ્રી હામાભાઇ બલીયાએ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા, કલેકટરશ્રી કે. રાજેશ, પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારીશ્રી ભાવેશ દવે, અગ્રણી સર્વશ્રી શંકરભાઇ વેગડ, કિરીટસિંહ રાણા, વિજયભાઇ ભગત, જગદીશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપભાઇ ખાચર, શાહબુદીનભાઇ રાઠોડ, સરપંચશ્રી વનિતાબેન ખમાણી, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં.