Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિરમગામના ગંગાસર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ બે ભકતો ડુબ્યાઃ એકનું મૃત્યુઃ એકને બચાવી લેવાયો

વિરમગામ ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમે શોધખોળ કરીને એક વ્યકિતની લાશને બહાર કાઢી

વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. વિરમગામ શહેરમાં૨૦ થી વધુ સાર્વજનિક સ્થાન અને અનેક લોકોએ ઘરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની ભકિતભાવતી સ્થાપના કરી છે. પરંતુ ગણેશોત્સવના બીજા દિવસે વિરમગામમાં સર્જાયેલ કરૂણાંતિકાના કારણે અનેક લોકો શોકાતુર બની ગયા છે.

 વિરમગામ શહેરના ગંગાસર તળાવમાં વિઘ્નહર્તા ગણપતિજીનુ વિસર્જન કરવા ગયેલા બે ભકતો ડુબ્યા હતા. જેમાંથી એક નુ મોત થયુ હતુ અને અન્ય એક વ્યકિતને બચાવી લેવાઇ હતી.વિરમગામ ફાયરબ્રિગેડ ટીમ અને ડિઝાસ્ટરની ટીમે શોધખોળ કરીને એક વ્યકિતની લાશને બહાર કાઢી હતી. લાશને પોસ્ટ મોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવવામાં આવી હતી. મૃતક વ્યકિતનું નામ જગદિશભાઇ ત્રિવેદી હોવાનું જાણવા મળ્યુ છે. ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીની નાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયા હતા અને આ દુર્ઘટના સર્જાઇ હતી.

(11:38 am IST)