Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મહિલાઓ સરકારની યોજનાનો લાભ લઇ રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપેઃ કલેકટર

મોરબીમાં મહિલા સશકિતકરણ સંદર્ભે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

મોરબી, તા.૪:    રાજય સરકાર દ્વારા નારિશકિતના સામર્થ્યને વિકાસમાં જોડવા  મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ગરીબ પરિવારોને કૌશલ્ય વિકાસ સહ ટકાઉ આજીવિકા સાથે જોડવાના મહત્વાકાંક્ષી હેતુને સિધ્ધ કરવાના  હેતુથી  સરકારશ્રીની વિવિધ આજીવિકાલક્ષી યોજનાઓનું માર્ગદર્શન મળી રહે એ  હેતુસર આજ રોજ મોરબી ટાઉનહોલ ખાતે  મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ દિપ પ્રગટાવી  જણાવ્યું હતું કે મહિલાઓ પણ રાજય કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઇ પગભર ઉભી રહી  રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપે તે માટે સરકારશ્રીના દરેક  વિભાગ ચીંતા કરે છે. ત્યારે બહેનો સરકારશ્રીની યોજનાનો લાભ લઇ તેમજ તમારા પાડોશીઓને યોજનાનો લાભ લેવા માહિતગાર કરવા સૂચનો કર્યા હતા.

વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે બહેનોમાં રહેલ કૌશલ્યને સ્વાવંલબન દ્રારા તેમના કુટુંબને આગળ લઇ જવામાં મદદરૂપ બનશે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાએ પ્રાસંગીક  જણાવ્યું હતું કે પુરૂષો કરતા સ્ત્રીઓ સામાજીક જવાબદારી વધુ નિભાવે છે ત્યારે સ્ત્રીઓ પણ આર્થીક રીતે વધુ પગભર થાય તે માટે સરકારશ્રી દ્રારા સખીમંડળની રચના કરી તમને આર્થીક મદદ કરી ધેર બેઠા બહેનો રોજગારી મેળવી શકે તે માટે બહેનોના તાલીમ વર્ગો ગોઠવીને તાલીમ બધ્ધ કરી તેમના કૌશલ્યને બહાર લાવવાના સરકારશ્રીના પ્રયત્નો રહયા છે.

આ કાર્યક્રમમાં પંચાયત ગ્રામ ગૃહ નિમાણ અને ગ્રામવિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.  અંતગર્ત અમલમાં રહેલી પંડિત દિનદયાલ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૧ ગ્રામ સખી સંધને ૩.૫૦ લાખનું કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ-૭  સખીમંડળોને ૦.૭૪ લાખનું રિવોલ્વિગફંડ, ૧૩-સખીમંડળોને વિવિધ બેંકો મારફત ર૨.૫ લાખના ક્રેડીટ ધિરાણ , તેમજ આરોગ્ય વિભાગ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયેલા સર્ગભા તથા ધાત્રી માતાઓને નિર્દશક ભોજન આપવાની કામગીરીના ૫ સખી મંડળોને ઓર્ડર તેમજ તાલીમ મેળવેલ ૧૦ સખી મંડળોને પ્રમાણપત્ર તેમજ શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગ હેઠળ અમલમાં રહેલ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સખીમંડળોને રિવોલ્વિફંડ તેમજ બેંકો મારફતેના ધિરાણના પત્રો મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી બેંકના પ્રતિનીધિઓ દવારા બહેનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.ડી.જાડેજા, મહિલા મોરચાના મંજુલાબેન દેત્રોજા, રજંનબેન ભાયાણી,દેવીકાબેન સહિત જિલ્લાભરમાંથી સખી મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા.(૨૨.૭)

(12:37 pm IST)