Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વધુ ૫ દર્દીઓ સાથે કચ્છમાં કોરોના બન્યો બેકાબુ : લાગલગાટ દસમે દિ' કેસ સાથે કુલ દર્દીઓ ૧૭૮

અંજાર, ભુજ ઉપરાંત ભચાઉના ખારોઇ, મુન્દ્રાના નાનીખાખર અને અબડાસાના સાંધીપુરમ જેવા ગામોમાં પહોંચ્યો કોરોના

ભુજ તા. ૪ : કોરોનાએ હવે કચ્છમાં લાગલગાટ ૧૦ મે દિવસે સપાટો બોલાવ્યો છે, આજે ૫ વધુ દર્દીઓ નોંધાયા છે. એ સાથે જ હવે કચ્છમાં કોરોના દર્દીઓની સંખ્યા ઉછળીને ૧૭૮ ઉપર પહોંચી ગઈ છે.

કચ્છમાં બે સરકારી અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિ તેમ જ અંજારની ટ્રેઝરી કચેરીના અમૃતલાલ બાંભણીયાને કોરોના ડિટેકટ થયો છે. વતન અમદાવાદથી ફરજ પર ભુજ આવેલા નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને તાવ, શરદી લાગતા, તપાસ કરાવી તો રિપોર્ટમાં કોરોના નીકળ્યો હવે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનાર કવોરેન્ટાઈન કરાયા છે. તો, અંજારમાં પણ ટ્રેઝરી અધિકારીના સંપર્કમાં આવનારાઓને કવોરેન્ટાઈન કરાયા છે.

અન્ય ત્રણ દર્દીઓમાં ભચાઉના ખારોઇ ગામના ૨૬ વર્ષીય મહિલા, મુન્દ્રાના નાનીખાખરના ૨૪ વર્ષીય યુવાન અને અબડાસાના સાંધીપુરમના ૪૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભુજના જૈન વ્યાપારી દિનેશ સ્વરૂપચંદ શાહનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી. જોકે, તેમની અલગથી કોરોનાના દર્દી તરીકે નોંધ લેવાઈ છે.

કચ્છના નાયબ ડીડીઓને કોરોના

ભુજ તા. ૪ : કચ્છમાં કોરોનાએ ઉપાડો લીધો છે. વધતા જતાં મોત અને દર્દીઓ વચ્ચે કોરોનાએ પોતાની ભીંસ વધારી છે. આજે કચ્છના નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને કોરોના ડિટેકટ થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.ઙ્ગ તો, જિલ્લાના ઉચ્ચ અધિકારીને કોરોના થતાં કર્મચારી વર્ગમાં પણ ફફડાટ સાથે ચિંતા ફેલાઈ છે. નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને વતન અમદાવાદથી પરત આવ્યા હતા. તેમને ભુજ ફરજ પર તાવ, શરદી લાગતા રિપોર્ટ કરાવ્યો હતો. તો રિપોર્ટમાં તેમને કોરોના નીકળ્યો છે. હવે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનારને કવોરેન્ટાઈન કરાઈ રહ્યા છે.

(9:49 am IST)