Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પાટડીના અંબાળામાં આચાર્યની બદલીના વિરોધમાં ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે હલ્લાબોલઃ વિદ્યાર્થીઓ ચોંધાર આંસુએ રડયા

શાળાના તમામ ૧૮૭ વિદ્યાર્થીઓ સતત ત્રીજા દિવસે શાળામાં ન ગયાઃ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળામાં દોડી ગયા

વઢવાણ, તા.૪: પાટડી તાલુકાના માલણપુર ગામના વતની જીવાભાઇ રતુભાઇ જાદવ છેલ્લા કેટલાક સમયથી પાટડી તાલુકાની અંબાળા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. એમણે આ શાળામાં વર્ષે સ્વખર્ચે પચાસ હજારથી લાખ રૂ.નો ખર્ચો કરી શાળાની કાયાપલટ કરી હતી. છેલ્લા ૩ વર્ષથી ગુણોત્સવમાં આ શાળાનો એ ગ્રેડ આવવાની સાથે આ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં ઇન્ટરનેશનલ સાયંસ ફેરમાં ભાગ લેવા બેંગલોર ગયા છે. જયાં ખુદ પ્રધાનમંત્રી પોતે હાજરી આપવાના છે. અંબાળા શાળાના આચાર્ય જીવાભાઇ રતુભાઇ જાદવની ઓવર સેટઅપના લીધે થાન ખાતે બદલી કરવામાં આવતા ગ્રામજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ નિર્ણયના વિરોધમાં આ શાળામાં ધોરણ એકથી આઠમાં ભણતા તમામ ૧૮૭ બાળકો શુક્રવારે સતત ત્રીજા દિવસે શિક્ષણ કાર્યથી અળગા રહી સ્કુલે ગયા નહોતા. શુક્રવારે ગ્રામજનોએ પંચાયત કચેરી સામેં ઢોલ-નગારા સાથે આ નિર્ણયના વિરોધમાં હલ્લાબોલ મચાવ્યો હતો. અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ ચોંધાર આંસુએ રડ્યાં હતા. પરંતુ સ્કુલે જવા માટે ટશના મશ થયા નહોંતા. જયારે આ અંગેની જાણ થતાં તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી સહિતનો સ્ટાફે અંબાળા ગામે દોડી જઇ શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સાથે મેરોથોન મીટીંગ કરી હતી. પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નહોંતુ.

સરકારના ઓવર સેટઅપના નિયમ પ્રમાણે મારી થાન બદલી કરાઇ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ મારા પ્રત્યે જે લાગણી બતાવી એ માટે હું ગ્રામજનો અને શાળા પરિવારનો આજીવન રુણી રહીશ. મેં વાલીઓ અને ગ્રામજનોને આ બાબતે ખુબ સમજાવ્યા પણ તેઓ ટશના મશ થતાં નથી. તેમ આચાર્યએ જણાવ્યુ હતું.

અંબાળા પ્રાથમિક શાળાની સ્વખર્ચે કાયાપલટ કરનારા આચાર્યની બદલી કરાતા  જીલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગર નિયામકને લેખીત રજૂઆત કરી છે. છતાં કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો અમેં ગ્રામજનો ગાંધીનગર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ રજૂઆત કરવા જઇશુ. તેમ સરપંચ શાંતાબેન પરમારે જણાવ્યું હતું.

(1:12 pm IST)