Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

‘‘મહા’’ વાવાઝોડાની અસરના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોએ પાક અને જાનમાલના રક્ષણ માટે તકેદારી રાખવી

સુરેન્‍દ્રનગરઃ-    જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને  આગામી તા.૬/૧૧/૨૦૧૯ની આસપાસ મહા નામના વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી માવઠા/મધ્યમથી ભારે વરસાદની આગાહી થયેલ છે. જે પરિસ્થિતિ જોતા આવા સમયે મોટા ભાગે ખેડુતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલા લેતા હોય છે, તેમ છતા વિશેષ તકેદારી રાખવા ખેડુતોને જણાવાયું છે. 

         ખેડુતોએ શકય હોય ત્યાં ખરીફ સીઝનના લાબા ગાળાના ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળુ હવામાન ટાળી શકાય અને સંભાવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય તેમજ જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, અને વધુમાં ભારે વરસાદના લીધે નિચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઈ રહેતુ હોય તો ખેતરમાં ભરાઈ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરું આયોજન કરવુ, રવિ પાકનું વાવેતર શકય હોય તો મુલતવી રાખવુ તેમજ અનુકુળ વાતાવરણ થયે રવિ પાકોનું વાવેતર તુરંત કરવું.ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલિક વીણાવી લેવા, મગફળી/ડાંગર જેવા ખરીફ પાકો કાપણી માટે તૈયાર થયેલ હોઈ તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી તેમજ વધુ પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી તેમજ ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતું પશુઓને ખુલ્લામાં વીજળીના થાંભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા જણાવાયું છે.

         આ અંગે વધુ જાણકારી માટે જે તે  વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબરઃ- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

(12:44 pm IST)