Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

કચ્છમાં ડેંગ્યુનો ભય બતાવી ખાનગી હોસ્પિટલો દર્દીઓને ખંખેરે છે, જિલ્લા આરોગ્ય અધિકારીનું ખળભળાટ સર્જતું નિવેદન

'ડ્રાય ડે' ના સંદેશ સાથે રાજયમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઘરે ઘરે વેંચ્યા પેમ્ફ્લેટ

(ભુજ) ડેંગ્યુ તાવે કચ્છમાં દેકારો બોલાવી દીધો છે. મીડીયામાં આવેલા અહેવાલોને પગલે ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે નેતાઓ અને અધિકારીઓને લોકોની મદદ માટે અને ડેંગ્યુને નાથવા માટે લોકોને જાગૃત કરવા દોડતા કરી દીધા છેલોકોમાં ડેંગ્યુનો 'હાઉ' દૂર કરવા 'ડ્રાય ડે' ના સંદેશ સાથે રાજયમંત્રી વાસણભાઇ આહીર અને ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ભુજના જૂની રાવલવાડી તેમ જ સુખપર ગામે ઘેર ઘેર ફરીને પેમ્ફ્લેટ પણ વહેંચ્યા હતા. જોકે, ડેંગ્યુના કારણે ઘેર ઘેર તાવના ખાટલા અને દર્દીઓને ચડાવાતા ગ્લુકોઝના બાટલા, તેમ જ મંડપ બાંધી હંગામી હોસ્પિટલની જેમ દર્દીઓની કરાતી સારવાર જોઈને  ડેંગ્યુની મહામારીનો અનુભવ નેતાઓને પણ થયો હતો. આ લોકજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વાસણભાઇ તેમ જ નીમાબેને પાણી ભરેલા ખાડાઓ, ઘરની અંદર ફ્રિજની ટ્રે માં ભરાયેલા પાણીનો નિકાલ કરી 'ડ્રાય ડે' દ્વારા પાણીનો નિકાલ કરીને રોગચાળો અટકાવવા અપીલ કરી હતી. તેમણે લોકસંપર્ક દ્વારા દર્દીઓના હાલચાલ જાણીને તેમની સારવાર અંગેની માહિતી મેળવી હતી. દરમ્યાન આજે ભુજના અર્બન હેલ્થ સેન્ટરમાં ડેંગ્યુની સારવાર માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. રાજયમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની સાથે ઇન્ચાર્જ કલેકટર પ્રભવ જોશી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે  જૂની રાવળવાડીમાં આવેલા સીટી અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી અને અહીં દર્દીઓને અપાતી સારવારનું નિરીક્ષણ કર્યું હતું.

 કચ્છભરમાં ડેંગ્યુની મહામારી અને શંકાસ્પદ મોતને પગલે લોકોમાં ડેંગ્યુનો હાઉ બેસી ગયો છે. જોકે, ડેંગ્યુને કારણે વણસેલી પરિસ્થિતિ પછી સરકાર જાગી અને નેતાઓને તેમ જ અધિકારીઓને લોકોની વચ્ચે મોકલાવ્યા તો છે, પણ હવે ખૂબ મોડું થઈ ગયું છે. આજે ભુજ અને સુખપરમાં લોકસંપર્ક કરાયો ત્યારે મીડીયા સાથે વાત કરતાં રાજયમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ડેંગ્યુના ઉપદ્રવ સામે સરકાર અને તંત્ર સજ્જ છે. શ્રી આહીરે લોકોને ડેંગ્યુ ફેલાતો અટકાવવા જાગૃતિ કેળવવા અપીલ કરતાં જણાવ્યું હતું, કે જ્યાં જ્યાં પાણી ભરેલા ખાડા હોય કે ઘરમાં પાણી ભરેલા વાસણો હોય, આ પાણીનો નિકાલ કરી નાખવો જોઈએ. જોકે, મીડીયા સાથે વાત કરતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ખળભળાટ સર્જતા કરેલા નિવેદને કચ્છની તબીબી આલમ સામે સવાલો ઉભા કરીને લોકોમાં થતી વાતોને વાચા આપી દીધી હતી. દઈએ ડીએચઓ ડો. કન્નરે ડેંગ્યુનો 'હાઉ' બતાવીને દર્દીઓના ભયનો લાભ મેળવી ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર માટે દર્દી પાસેથી ૮ થી ૧૦ હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોવાનો ધડાકો કર્યો હતો. સાથે સાથે ડેંગ્યુની સારવારના નામે દર્દીઓ પાસેથી ખંખેરવામાં આવતી હજારો રૂપિયાની ફી અંગે જો લોકોની ફરિયાદો આવશે તો પગલાં ભરવાની ચીમકી પણ આપી હતી. જો લોકોની વાત માનીએ તો આરોગ્ય અધિકારી ડો. કન્નરે વાસ્તવિક્તા કહી દીધી છે. પણ, મુખ્ય મુદ્દો એ જ છે કે, મોંઘા મોંઘા ચાર્જ દ્વારા વસૂલવામાં આવતી ફીને અંકુશમાં લેવા માટે જિલ્લાના આરોગ્ય અધિકારી અને તેનું તંત્ર માત્ર નિવેદન આપી કામ કરવાનો સંતોષ મેળવવાને બદલે એક્શન લે તે જરૂફી છે. ખાનગી હોસ્પિટલમાં તબીબોની તપાસવાની મોંઘી ફી, લેબોરેટરી ટેસ્ટના મો માંગ્યા પડાવતા વધુ રૂપિયા, સતત ગ્લુકોઝ બોટલ ચડાવવી તેમ જ દવાઓનું મોંઘું મેડિકલ બિલ આ બધાનો ચાર્જ વસુલતી હોસ્પિટલો મોટાભાગે પાકું બિલ કે રસીદ આપતી નથી, તો દર્દીઓ પણ આ બાબતે (મેડીકલેઇમ સિવાય) ઉપેક્ષિત વલણ દાખવે છે

(12:41 pm IST)