Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભાવનગરમાં દેહ વ્યાપારનો પર્દાફાશઃ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ

ચાર મહિના પહેલા ધો.'૯ની છાત્રાનું અપહરણ કરાયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ભોપાળુ ખુલ્યું: મહિલા સહિત પ ની ધરપકડઃ રૂ. ૩ લાખમાં વેંચી દીધા બાદ પૈસા વસુલી માટે સગીરાને ''કોલગર્લ''તરીકે મોકલવામાં આવતી

ભાવનગરઃ દેહવ્યાપારનાં નેટવર્કનો પર્દાફાશ થતાં પોલીસે મહિલા સહિત ચારને ઝડપી લીધા છે. ભોગગ્રસ્ત સગીરા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તેનાં નિવેદને ભાંડો ફોડયો છે.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી,ભાવનગર)

ભાવનગર તા.૩: ભાવનગરમાંથી ચાર માસ પહેલા નવમાં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ થયું હતું. આ સગીરા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તેણીનાં નિવેદનથી દેહવ્યાપારનાં ચાલતા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને પોલીસે મહિલા સહિત પાંચને ઝડપી લીધા છે. સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ પણ આચરાયું હતું.

આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરનાં ઘોઘા રોડ વિસ્તારમાં માતા અને દાદી સાથે રહી ધો. ૯માં અભ્યાસ કરતી સગીરાનું ચાર માસ પહેલાં કેટલાંક શખ્સો અપહરણ કરી ગયાની બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

દરમ્યાનમાં આ સગીરા મોડી રાત્રે શહેરનાં તળાજા રોડ ટોપ શ્રી સર્કલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે અત્રેની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાં આ સગીરા એ પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો આપી દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતી મહિલા સહિતની ગેંગનો પર્દાફાશ કરતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ સગીરાનાં નિવેદન મુજબ તેણી પર સામુહિક દુષ્કર્મ આચરાયું હોવાનું પણ ખુલવા પામ્યું છે. તેમજ અન્ય બે બાળાઓ પણ ફસાય હોવાનું જણાવ્યું છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સગીરાનાં નિવેદન મુજબ ગેંગની મુખ્ય લીડર રેખા માસી ઉર્ફે રેખાબેન હર્ષદભાઇ મકવાણા (રહે. લીલા સર્કલ પાસે માધવાનંદ સોસાયટી) છે. તેમજ તેમના પતિ હર્ષદભાઇ રસીકલાલ મકવાણાનું પારસ વિનોદરાય નંદીગરા અને હુસેન અલીભાઇ માલકાણી અને અન્ય લોકો પણ સંડોવાયેલા છે.

ભોગ ગ્રસ્ત સગીરાએ જણાવ્યું છે કે નીરવ નામનાં યુવાન સામેથી મુલાકાત બાદ તેણીને રૂ. ૩ લાખમાં પીપરણા ગામે વહેંચી દેવામાં આવી હતી. અમુક રકમ બાકી હોય ગેંગ વચ્ચે બોલાચાલી થતાં અને પૈસા વસુલી માટે સગીરાને જુદી જુદી જગ્યાએ કોલગર્લ તરીકે બે કલાક ત્રણ કલાક માટે મોકલવામાં આવતી હતી.

આ બનાવમાં અન્ય ૧૫ જેટલા લોકો સામે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ કેટલાક શખ્સોની ધરપકડ થનાર છે.

દરમ્યાન સગીરાને કોઇ બનાવમાં ઇજા પહોંચતા તે બેભાન થઇ જતાં આ અંગે સગીરા મરી ગઇ છે. તેમ માની ભાવનગરના઼ તળાજા રોડ પર ફેંકી દીધી હોવાનું અનુમાન છે. આ અંગે બી ડિવીઝન પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

આ બનાવ અંગે પોલીસે રેખામાસી સહિત ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં દેહવ્યાપારનાં નેટવર્કનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે.(૧.૮)

(11:33 am IST)