Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જામજોધપુર પાસે ખાનગી બસ પલ્ટી જતા બાળાનું મોત

આદિવાસી વિસ્તારના લોકો મોટી ગોપ પાસેથી બસ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈઃ ૧૫ને ઈજા

(દર્શન મકવાણા, અશોક ઠાકર, મુકુંદ બદિયાણી, સનત પટેલ દ્વારા) જામજોધપુર-જામનગર-લાલપુર, તા. ૩ :. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ પાસે અકસ્માત સર્જાતા ૬ વર્ષની બાળાનું મોત થયુ છે. જ્યારે ૧૫ને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુરના મોટી ગોપ પાસેથી પસાર થઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની બસ જીજે ૦૩ બીવી ૪૫૬૭ના ડ્રાઈવરે બસ ઉપરનો કાબુ ગુમાવતા આ બસ પલ્ટી ખાઈ ગઈ હતી.  જેમાં એક ૬ વર્ષની આદિવાસી પરિવારની બાળાનું મોત થયુ હતું. જ્યારે અન્ય ૧૫ મુસાફરોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર માટે લાલપુરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ ખરગોન, જાબુઆ, જામનગર, બગોદર રૂટની હોવાનું જાણવા મળ્યુ છે.

આ બસ ગોધરા તરફથી આવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે મોટી જાનહાની અટકી હતી. અકસ્માત સર્જાતા બસ નીચે ૩ થી ૪ મુસાફરો ફસાઈ ગયા હતા જેઓને તાબડતોબ જેસીબીની મદદથી બસ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(2:35 pm IST)