Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબીના સર્કીટ હાઉસ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકોના પ્રશ્નો સાંભળ્યા

જુદી જુદી ગ્રામ પંચાયતોના મહેસુલ, સનદ, ગ્રામ્ય માર્ગો, ગ્રામ્ય ક્ષેત્રે વીજળી, બસ વ્યવહાર તેમજ નાણાપંચની ગ્રાન્ટ વગેરે જેવી બાબતોની રજૂઆતો

મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલરો દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના કામો, સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો, તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતોના મહેસુલ, સનદ, ગ્રામ્ય માર્ગો, ગ્રામ્ય ક્ષેત્રે વીજળી, બસ વ્યવહાર તેમજ નાણાપંચની ગ્રાન્ટ વગેરે જેવી બાબતોની રજૂઆતો કરવામાં આવી હતી.

આ તમામ રજૂઆતોને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધ્યાને લઈ સ્થળ પર જ સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તમામ પ્રશ્નોનો તાત્કાલિક રીતે સચોટ નિકાલ કર્યો હતો. આ લોક સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, મોરબી ગ્રામિણ મામલતદાર નિખિલ મહેતા, અગ્રણી જયુભા જાડેજા તેમજ ભાવેશભાઈ કણજારિયા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના કાઉન્સીલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)