Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નવાગામ પાસે કાર ચાલકે ઓચિંતો દરવાજો ખોલ્યોઃ બાઇક અથડાતાં ચાલક પ્રોૈઢનું મોત

અકસ્માત બાદ ઇકો કારનો ચાલક ભાગી ગયોઃ મૃતક સણોસરા તરફના?

કાળનો કોળીયો બનેલા પ્રોૈઢનો નિષ્પ્રાણ દેહ અને અકસ્માત સ્થળે લોકોના ટોળા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પર નવાગામ નજીક કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ સવારે કાર ચાલકની બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં એક બાઇકસ્વાર પ્રોેઢનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટથી ચોટીલા તરફ જઇ રહેલી ઇકો કાર કુવાડવા રોડ પોલીસ મથક સામેના રોડ પર અચાનક ઉભી રહી હતી અને તેના ચાલકે પાછળ જોયા વગર જ દરવાજો ખોલતાં પાછળ આવી રહેલું બાઇક દરવાજામાં અથડાતાં તેના ચાલક આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ ફંગોળાઇને રોડ પર ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં પાઇલોટ મનિષ ગોંડલીયા અને ઇએમટી કોમલબેન પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં બાઇક ચાલકનું મોત નિપજ્યાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

બી-ડિવીઝનના પીએસઆઇ એચ. જી. ગોહિલ અને રાઇટર અશ્વિનભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામનાર પ્રોૈઢ સણોસરા તરફના હોવાનું ચર્ચાય છે. પોલીસે તેમની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. તેમજ અકસ્માત બાદ ભાગી ગયેલા કાર ચાલકને શોધવા મથામણ શરૂ કરી છે. બનાવને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(11:48 am IST)