Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં માળીયા મિંયાણાના અનવરભાઇ મોવરનું મોત

રાજકોટ તા. ૩: મોરબીના માળીયા મિંયાણા ગામના મુસ્લિમ યુવાન બાઇક સહિત ટ્રક ટેલરની ઠોકરે ચડી જતાં તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ માળીયા મિંયાણા ખાતે રહેતાં અને માછીમારીનું કામ કરી ગુજરાન ચલાવતાં અનવરભાઇ સુલેમાનભાઇ મોવર (ઉ.૪૦) ગઇકાલે બાઇક હંકારીને હાઇવે પરથી માળીયા તરફ આવી રહ્યા હતાં ત્યારે અડધો કિ.મી. દૂર એક ટ્રક ટેલરની ઠોકરે ચડી જતાં બાઇક પરથી ફંગોળાઇ જતાં માથા-છાતી-હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં માળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે પ્રાથમિક કાર્યવાહી કરી માળીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને પાંચ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પોલીસે  ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:35 am IST)