Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભૂજના કોડકી ગામની ખાનગી ટ્રસ્ટની વિદ્યામંદિરમાં બે દલિત બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ

સંપૂર્ણ તપાસ બાદ બંને બાળકોને પ્રવેશ માટે ટ્રસ્ટની સહમતી

ભૂજ, તા.૩: ભુજ તાલુકાના કોડકી ગામની ખાનગી ટ્રસ્ટની લેવા પટેલ લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યામંદિરમાં બે દલિત બાળકોને પ્રવેશ ન આપવાના મુદ્દે ઉભા થયેલા વિવાદ પછી હવે શિક્ષણ વિભાગે કરેલી તપાસ પુર્ણ થઇ છે અને તપાસ દરમ્યાન હકીકત કંઇક બીજી જ સામે આવી છે.બે દિવસ પહેલા ઉભા થયેલા વિવાદ પછી શુક્રવારે આ અંગે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને શનિવારે પાંચ સભ્યોની તપાસ કમીટી અને ખુદ પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા. ત્યારબાદ સામે એ આવ્યુ છે, કે બાળકો નાની ઉંમરના હોવાથી ધોરણ-૦૧માં તેમને પ્રવેશ મળ્યો ન હતો અને શાળામાં પ્રવેશ માટેની કોઇ અરજી પણ પરિવાર તરફથી ન કરાઇ હોવાનુ શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ. સંપુર્ણ અહેવાલ બાદ હવે શીશુમંદિરમાં બન્ને બાળકોને પ્રવેશ માટે ટ્રસ્ટે સહમતી દર્શાવી હતી.

શુ કર્યુ શિક્ષણ વિભાગે તપાસ દરમ્યાન?

મુદ્દો અને વિવાદ એ ઉભો થયો હતો કે બાળકો દલિત હોવાથી તેમને પ્રવેશ મળ્યો ન હતો અને ટ્રસ્ટ માત્ર પટેલ સમાજના બાળકોને જ પ્રવેશ આપે છે. પરંતુ આ મામલે શાળા સંચાલકો ગામના સરપંચ સહિતના આગેવાનોની પુછપરછ અને નિવેદન લેવાયા હતા જેમાં પટેલ સમાજ સાથે અન્ય સમાજના બાળકો પણ અભ્યાસ કરતા હોવાનુ સામે આવ્યુ છે. સાથે શાળા સંચાલકોએ એવો કોઇ ઠરાવ ન કર્યો હોવાનુ પણ તપાસમાં ખુલ્યુ છે. તો સરપંચે પણ જ્ઞાતી આધારીત શાળામા પ્રવેશ ન અપાતો હોવાની વાતને રદિયો આપીને પાયાવિહોણી ગણાવી હતી. આ શાળામાં બક્ષીપંચ સમાજના બાળકો પણ છે અને તમામ વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

જો કે, શિક્ષણ વિભાગે તાકીદે બે બાળકોના પ્રવેશ સાથે આર.ટી.ઇ મુજબ પાલન માટે સ્કુલને સુચનો કર્યા છે.

(11:27 am IST)