Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લાઠીના કેરાળા પાસે ટ્રકે એસ.ટી.ને હડફેટે લેતા ૪ના મોત

સાવરકુંડલા-ઉંઝા રૂટની બસને અકસ્માત નડયો : રપ ને નાની-મોટી ઇજા

અમરેલી-સાવરકુંડલા : લાઠી તાલુકાના કેરાળા ગામ પાસે સાવરકુંડલા-ઉંજા રૂટની એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૪ વ્યકિતના મોત થયા હતાં. જયારે ર૦થી રપ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં અમરેલી સારવારમાં ખસેડેલ છે. તસ્વીરમાં મૃતકો, ઇજાગ્રસ્તો અને અકસ્માત ગ્રસ્ત વાહનો નજરે  પડે છે (તસ્વીરઃ અરવિંદ નિર્મળ (અમરેલી), દિપક પાંધી (સાવરકુંડલા) : તસ્વીરમાં ઇજાગ્રસ્ત ડ્રાઇવર નજરે પડે છે.

 અમરેલી, તા. ર : અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ પાસે રોંગ સાઇડમાં આવતા ટ્રકે એસ.ટી. બસને હડફેટે લેતા ૪ વ્યકિતના મોત થયા હતાં. જયારે રપ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાઠીના કેરાળા નજીક વળાંકમાં લાઠીના કેરાળા નજીક વળાંકમાં આજ રોજ વહેલી સવારના સાવરકુંડલાથી સાડા પાંચ કલાકે ઉપડતી સાવરકુંડલા ઉર્જા એસટી બસને સામેની આવતા એક અજાણ્યા ટ્રકે રોંગ સાઇડમાં આવી બસ સાથે ધડાકાભેર  ટક્કર મારતા ૪ વ્યકિતના મોત નિપજયા હતાં.

આ અકસ્માતમાં સાવરકુંડલાની ફાજીમ વાસીમ કુરેશી (ઉ.૩), હિંમત ગોરધનભાઇ સરવૈયા (ઉ.પ૩), રોહિત ધીરૂભાઇ સરવૈયા (ઉ.૪૦), દ્વામિત્ર ધર્મેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.ર૩) ના ઘટના સ્થળે મોત નીપજયા હતાં.

જયારે બસમાં બેઠેલ અમરેલીના નિખીલ વિનુભાઇ (ઉ.ર૪), ગોહીલ વિધી વિનુભાઇ (ઉ.૧૮), મિતુલ જે. મહેતા, રાજેશ મગનભાઇ, પ્રકાશ ખેસ, સુનિલભાઇ રાઠોડ, રામજી નાનજીભાઇ દાફડા રે. ધ્રાંગધ્રા સાવરકુંડલાના મમતાજબેન નનકુવરબા રાઠોડ, મીનાબેન, રઘુવીરભાઇ, મનીષ નવનીતભાઇ,  બ્રિજેશ મુકેશભાઇ, ઇમરાન પઢીયાર, જીલ્લુબેન શેખ, રૂકસાનાબેન, શેખ સાહિદ, શેખ નજમાબેન, કૌશીક નવનીતભાઇ હીમતભાઇ સરવૈયા, ઇશ્વરીયાના કિરણ વિઠલ વામજ તથા એસ. ટી. બસના ચાલક ચૌધરી લવજીભાઇ તથા કંડકટર સુતરીયા જીતેન્દ્રભાઇને નાની મોટી તથા ગંભીર ઇજા સાથે સારવાર અર્થે અમરેલી સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં.

આ બનાવની જાણ અમરેલી તથા લાઠી પોલીસને થતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જયારે એસ. ટી.ના મહામંત્રી કર્મચારી રમેશભાઇ માલવીયા સીવીલે ઘસી જઇ તુરંત ઇજા ગ્રસ્તોને સારવાર મળે તેવા પ્રયત્નો કર્યા હતાં.

અકસ્માત એટલો ભયંકર હતો કે, એસ. ટી. તથા ટ્રક બન્નેની ડ્રાઇવર સાઇડનો બુકડો બોલી ગયો હતો.

અકસ્માતમાં સાવરકુંડલાની બાળા સહિત ૪નો ભોગ લેવાયો

 અમરેલી, તા. ૨ :. વહેલી સવારના સાવરકુંડલા ઉંજા રૂટની એસટી બસને લાઠીના કેરાળા નજીક ટ્રકે ટક્કર મારી સર્જેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકી સહિત ચારના મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે.

લાઠીના કેરાળા નજીક વળાંકમાં સાવરકુંડલા - ઉંજા રૂટની એસ.ટી. બસને ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા ૨૩ને નાના મોટી ઈજા થવા પામી હતી. જ્યાર બસમાં બેસેલ સાવરકુંડલાની ફાજીમ વાસીમ કુરેશી (ઉ.વ. ૩), હિંમત ગોરધન સરવૈયા (ઉ.વ.૫૩), રોહીત ધીરૂ સરવૈયા (ઉ.વ.૪૦) , ધીમીત્ર ધર્મેન્દ્ર ચૌહાણ (ઉ.વ. ૨૩)ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાના અહેવાલ મળી રહ્યા છે.

આ બનાવની વધુ તપાસ લાઠી-અમરેલી પોલીસ ચલાવી રહી છે.

લાઠીના કેરાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ગંભીર

 અમરેલી તા. ર :.. અમરેલી જીલ્લાના લાઠીના કેરાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરને અમરેલી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે.આ અકસ્માત તુલારામ જાટ (ઉ.વ.ર૮ રહે. બાંડ, મધ્ય પ્રદેશ) ને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડેલ છે.

ટ્રક અને બસને અલગ કરવા જેસીબી-ટોઈંગ વાનની મદદ લેવાઈ

અમરેલી, તા. ૨ :. આ અકસ્માતમાં એસ.ટી. બસ અને ટ્રક એકબીજામાં ફસાઈ ગયા હતા.

આ બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને એકબીજાથી અલગ કરવા માટે જેસીબી અને એસ.ટી.ના ટોઈંગ વાનની મદદ લેવાઈ હતી.

(4:47 pm IST)