Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જુનાગઢ જીલ્લાનાં ૨૫૩૨ દિવ્યાગોને રૂ.૧.૭૮ કરોડનાં સાધનોનું વિતરણઃ કેન્દ્રદીય મંત્રી વિજય સાંપલન ઉપસ્થિતિ

 જૂનાગઢઃ  સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના હેઠળ દિવ્યાંગ વ્યકિતઓ માટે મફત સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિ. કેમ્પસ મોતીબાગ જૂનાગઢ ખાતે કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી વિજય સાંપલાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. ભારત સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ હેઠળ મિનિરત્ન સાર્વજિક ક્ષેત્રનાં ઉપક્રમે અને એલીમ્કો કાનપુર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢનાં સહયોગથી આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી વિજય સાંપલાએ દિવ્યાંગજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે કુદરતે માનવીને વિશીષ્ઠ શકિતઓ અર્પણ કરી છે જેના થકી દરેક વ્યકિતમાં કોઇને કોઇ પ્રતીભા છુપાયેલી હોય છે. આજે દિવ્યાંગજનોને તેમની આવશ્યકતા મુજબ સાધનોનું વિતરણ થશે જેનાથી તે તેમની શકિતને નિખાર આપી સમાજની મુખ્ય ધારા સાથે કદમ મિલાવીશે. જૂનાગઢ જિલ્લાનાં અલગ-અલગ પ્રાંત મથકે એસેસ્મેન્ટ કેમ્પ કરી દિવ્યાંગ લાભાર્થીની પસંદગી કરવામાં આવી હતી તેવા ૨૫૩૨  લાભાર્થીઓને ૧.૭૮ કરોડનાં ખર્ચે ૪૦૩૪ સાધનોની સહાયનું મહાનુભાવોની ઉપસ્થિતીમાં હાથો હાથ વિતરણ કરવામાં આવ્યુ છે.  આ પ્રસંગે ઉપસ્થિત સંસદ સભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે એસેસ્મેન્ટ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલ દિવ્યાંગ વ્યકિતઓને એલીમ્કો દ્વારા નિર્માણ કરેલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ સાધનોમાં ખાસ કરીને ટ્રાઇસીકલ, વ્હીલચેર, બગલદ્યોડી, શ્રવણયંત્ર, અંધવ્યકિતઓ માટે સ્માર્ટ ફોન, અંધ વ્યકિતઓ માટે સ્માર્ટ કેન, મંદબુધ્ધી વ્યકિતઓ માટે MSIED કીટ વગેરે જેવા સાધનોનો સમાવેશ કરાયો છે. કાર્યક્રમમાં જે સાધનો વિતરણ કરવાના છે તેની વિગત જોઇએ તો ૫૨૭ ટ્રાઈસીકલ, ૧૮ મલ્ટી યુટીલીટી ટ્રાઇસીકલ, ૩૮૯ વ્હીલ ચેર, ૩૩ સી.પ.ચેર, ૮૫૮ બગલ દ્યોડી, ૨૯૩ લાકડી (એલ્યુમિનીયમ સ્ટીક), ૭૪ બ્રેઇલ કેન, ૨૮ બ્રેઇલ કીટ, ૩૯૨ શ્રવણ યંત્ર, ૫૯ રોલેટર, ૨૪૫ સ્માર્ટ કેન, ૬૨ સ્માર્ટ ફોન, ૧૩ એડીએલ કીટ, ૫૯ ફોલ્ડીંગ વોર્કર, ૧૩ ડેજી પ્લેયર, ૪૩૩ મંદ બુધ્ધી બાળકો માટેની કીટ, ૫૩૮ કેલીપર્સ આમ કુલ ૪૦૩૪ સાધનોનું ૩૧મી મેનાં રોજ દિવ્યાંજનોને આ સાધનો મળતા તેમની જરૂરત મહદઅંશે પુર્ણ થશે.  જૂનાગઢનાં મેયરશ્રી આદ્યાશકતીબેન મજમુદારે પ્રાસંગિક ઉદબોધનમાં સાધન સહાય અને કૃત્રિમ અવયવ મેળવનાર દિવ્યાંગજનોને આ સાધનોની મદદથી તેમનામાં રહેલી શકિતને બહાર લાવી અન્યોને સહાયરૂપ બનવા અનુરોધ કર્યો હતો. એલીમ્કો સંસ્થાનાં વી.કે.ગુપ્તાએ જણાવ્યુ કે દિવ્યાંગજનોને આધુનિક સાધનો અને કૃત્રિમ શરીરનાં અવયવો ઉપલબ્ધ કરાવવાનાં હેતુ માટે વિશ્વની ખ્યાતનામ કંપનીઓ સાથે સંકલન કરી આધુનિક કૃત્રિમ હાથ અને પગનાં નિર્માણ માટે સાધનો બનાવવાની શરૂઆત થઇ ચુકી છે. રાજેશ દુબેએ જણાવ્યુ હતુ કે અસ્થી વિષયક ખામીવાળા દિવ્યાંગ વ્યકિતઓ માટે એલીમ્કો કંપની દ્વારા આધુનિક ઉપકરણો જેવા કે બેટરી સંચાલીત મોટર બાઇક, આધુનિક વ્હીલચેર, અંધ વ્યકિતઓ માટે સ્માર્ટ ફોન, સ્માર્ટ કેન, ડીજી પ્લેયર ટેબ્લેટ જેવા સાધનો શ્રવણમંદ વ્યકિતઓ માટે આધુનીક કાનનાં મશીન અને રકતપીતનાં વ્યકિત માટે રોજીંદા જીવન જરૂરીયાતમાં આવી શકે તેવા એડીએલ કીટ, મોબાઇલ ફોન સહિતનાં સાધનોની સમજ આપી હતી. કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી પી.જે.ત્રિવેદીએ કાર્યક્રમનો હાર્દ સમજાવી આમંત્રીતોને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આાચાર્યા સુશ્રી પ્રભાબેન પટેલે સંભાળ્યુ હતુ.  આ પ્રસંગે ભારત સરકારનાં કોલ ઈન્ડીયાનાં ડાયરેકટ ભરતભાઇ ગાજીપરા, મહિલા સુરક્ષા સમીતિનાં ઉપાધ્યક્ષા સુશ્રી જયોતીબેન વાછાણી, નાયબ મેયર ગીરીશભાઇ, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રી સોલંકી, પ્રાંત અધિકારીશ્રી જવલંત રાવલ, અગ્રણીશ્રી શશીભાઇ ભીમાણી, ભરતભાઇ શીંગાળા, સમાજ કલ્યાણ વિભાગનાં નાયબ નિયામક એમ.કે.પરમાર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલ સહિત અગ્રણીઓ, જૂનાગઢ શહેરનાં પ્રબુધ્ધ નગરજનો, દિવ્યાંગો અને તેમનાં વાલીગણ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃવિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા. જુનાગઢ)(૨૨.૨) 

(12:46 pm IST)