Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૧૯૪૭માં ભારતમાં સ્વતંત્રતા પર્વ મનાવવાનો અવસર મળ્યો'તો : પોલેન્ડના હેન્ડર સ્ક્રીપ્ટ

જામનગરમાં પોલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધો તથા પોલીસ ઇતિહાસના છેલ્લા ૧૦૦ વર્ષના ગાળાની યાદમાં 'જનરેશન ટુ જનરેશન' કાર્યક્રમ યોજાયો

જામનગર તા. ૧ : 'ભારત-પોલીશના સંબંધોને ખાસ બનાવનાર નવાનગર(હાલનું જામનગર) ના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહના દ્વારા બિજા વિશ્વયુધ્ધમાં પોલીશ શરણાર્થી બાળકોને તેમના રાજયમાં આશરો દેવાના હેતુથી તેમજ પોલેન્ડ અને ભારત વચ્ચેના સબંધો અને પોલીશ ઇતિહાસના પાછલા ૧૦૦ વર્ષના ગાળાની યાદમાં એક ભવ્ય કાર્યક્રમ 'જનરેશન ટુ જનરેશન' આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઓડીટોરિયમ ખાતે પોલેન્ડના એમ્બેસેડરશ્રી એડમ બુરાકોવસ્કી અને ગુજરાત રાજયના શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વગેરેના કેબિનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રી ચુડાસમાએ ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રસ્તુત પ્રદર્શનને ખુલ્લુ મુકયું હતું.

કાર્યક્રમનો દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ૧૮ નવેમ્બર ૧૯૧૮માં પોલેન્ડ સ્વતંત્ર થયું તેના ૧૦૦ વર્ષ થવા જઇ રહયા છે જેના અનુસંધાને આ કાર્યક્રમની ઉજવણી કરી રહયા છીએ. તેમણે જણાવ્યું કે ૧૯૪૨માં પોલેન્ડ પર નાજી જર્મનીએ કબ્જો કરી લીધો હતો તે સમયે પોતાના સ્વજનોથી બહુ દુર થઇ ગયેલા ૧૦૦૦ જેટલા બાળકોને જામસાહેબ એ બાલાચડીમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી, જયાં તેમણે ખાલી આશ્રય જ નહી પરંતુ ભોજન, શિક્ષા અને એવુ વાતાવરણ પણ આપ્યુ કે જયાં તેમની પોલીશ સંસ્કૃતિ અને પરંપરા જીવીત રહી શકે. પોલેન્ડ ગણરાજય દ્વારા જામસાહેબને રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતુ સર્વોચ્ચ મેડલ સન્માન આપવામાં આવેલ હતુ.

આ તકે પોલેન્ડના એમ્બેસેડર એડમ બુરાકોવસ્કીએ જામનગરને ગુજરાતનું હ્રદય માની સાથીઓ (બાળકો)ને બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન આશ્રય આપવામાં આવ્યો હતો. બોમ્બેના પોલીશ વાણિજય દુતાવાસના વાણિજય દુત યુજિનિયસ બનસિનસ્કી અને તેમની પત્ની કિરાની સહાયતાથી 'ગુડ મહારાજા' એ એક હજાર પોલીશ બાળકોને આશ્રય દિધો હતો. જેથી તેમનુ જીવન બાળપણ અને એક સારા ભવિષ્યની આશા બની રહે. આ કાર્યક્રમમાં પોલેન્ડથી આવનાર વિશેષ અતિથીઓમાં ૮૦ થી ૯૦ વર્ષની વચ્ચેના પોલીશ લોકો છે જે છોકરાઓ આ કેમ્પમાં રહેલા હતા. જે અત્યારે સૈનિક સ્કુલ કહેવાય છે. આ છોકરાઓ તેમની કેમ્પના દિવસોની યાદો તાજી કરશે. તેમણે શ્રી અનુરાધાનો 'અ લીટલ પોલેન્ડ ઇન ઇન્ડીયા' ડોકયુમેન્ટ્રી ફીલ્મ બનાવાવા માટે આભાર વ્યકત કર્યો હતો.

કાર્યક્રમમાં પોલેન્ડના અધ્યક્ષ શ્રી હેન્ડર સ્ક્રીપ્ટે જણાવ્યું કે આજે આપણે પોલેન્ડની આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ માટે ભેગા થયા છીએ. તેમણે પોલીશ બાળકોને આશ્રય દેવા માટે ભારતનો આભાર વ્યકત કર્યો હતો. ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી નવાનગરના જામ સાહેબ દિગ્વીજયસીંહજીએ પોતાના કરુણામય ભાવથી લગભગ ૧૦૦૦ અનાથ પોલીસ બાળકોને આશ્રય આપ્યો જેમાંથી કેટલાક અત્યારે અહીં હાજર પણ છે. તેમજ ૧૯૪૩-૪૮ સુધી પાંચ હજાર પોલીસ શરણાર્થીઓ જેમાંથી મોટેભાગે મહિલાઓ અને બાળકોને મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસે વાલીવડે શીબીરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું અમને ૧૯૪૭માં ભારતના લોકો સાથે સ્વતંત્રતા દિવસું જસ્ન મનાવવાનું સૌભાગ્ય પણ મળ્યુ હતું.

આ કાર્યક્રમમાં જામ સાહેના પરિવારમાંથી યુવરાજ ઇન્દ્રેશજી, સાંસદશ્રી પુનમબેન માડમ, મેયરશ્રી હસમુખ જેઠવા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા, ધર્મરાજસિંહ જાડેજા, મેજર જનરલ સંજીવ શર્મા, કમિશ્નરશ્રી બારડ, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તી પારીક, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, તેમજ ૧૯૪૨માં ભારતમાં આશ્રય પામેલ પોલીશ લોકો તેમજ શહેર અગ્રણીઓ, મહાનુભાવો  વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૪)

(3:59 pm IST)