Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

તરઘડીયામાં વડગાળની શંકાએ નવદંપતિએ ઝેર પીધું

મુળ એમપીની ભુરી અને પતિ અંકલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ બે માસ પહેલા જ લગ્ન થયા છેઃ ભુરી રાતે ઉઠીને ભાગવા માંડતી અને અંકલને ઉંઘ નહોતી આવતી

રાજકોટ તા.૧: કુવાડવા નજીક ત્રિમંદિર સામે તરઘડીયામાં વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના નવદંપતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્નિને વડગાળની શંકા હોઇ તે રાતે ઉંઘમાં ઉભી થઇ ભાગવા માંડતી હતી અને પતિને ઉંઘ ન આવતી હોઇ બંનેએ કંટાળીને પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

તરઘડીયામાં ભાવેશભાઇ ધીરૂભાઇ ચાવડાની વાડીમાં એક મહિનાથી જ મજૂરીએ આવેલા મુળ મધ્યપ્રદેશના અંકલ લાલજીભાઇ વસુનીયા (ઉ.૨૧) અને તેની પત્નિ ભુરી અંકલ વસુનીયા (ઉ.૨૦)એ સાંજે વાડીએ ઝેર પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

અંકલ અને ભુરીના લગ્ન બે મહિના પહેલા જ થયા છે. પરિવારજનોના કહેવા મુજબ ભુરીને વડગાળ હોવાની શંકા હતી, તે ઉંઘમાં ઉભી થઇને ભાગવા માંડતી હતી. જ્યારે પતિ અંકલને પણ મગજ ભમતો હોઇ નિંદર આવતી ન હોઇ જેથી બંનેએ કંટાળીને સજોડે ખડમાં છાંટવાની દવા પી લીધી હતી.  પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:41 pm IST)