Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબીમાં ૩ ટ્રાન્સજેડર્સ વ્યક્તિઓને જિલ્લા કલેક્ટરના હસ્તે ઓળખપત્ર એનાયત કરાયા

મોરબી :ભારત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે તેમની ઓળખ આપવા, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે સંસ્થાઓ તથા અન્ય વ્યક્તિની જવાબદારીઓ ફરજો અદા કરવા, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન ન કરવા બાબતે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિના શિક્ષણ, સામાજિક સલામતી અને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવા બાબત તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પર થતા અપરાધો સામે સજા અને દંડની જોગવાઇઓ કરી કાયદાકીય રક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.
સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઈ શકે, તેઓને પણ સમાન અધિકાર મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટ્સ- 2019 બહાર પાડવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત રાજ્યમાં વસતા ટ્રાન્સજેન્ડરના હકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ ઉદ્દેશ્ય છે. આ કાયદા અન્વયે ટ્રાન્સજેન્ડરને તેઓનું જાતિ અંગેનું વિશેષ ઓળખપત્ર જિલ્લા કલેકટર દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે. જેથી આ વર્ગ પણ સરકારની મહત્વની યોજનાઓનો લાભ મેળવી શકે.
મોરબી જિલ્લામાં આ કાયદા હેઠળ 3 જેટલા ટ્રાન્સજેન્ડરને મંગળવારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઓળખપત્ર દ્વારા મહત્વના એવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો સરળતાથી મેળવી શકાશે

(10:28 pm IST)