Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

મકાન વેરાના હજારો બાકીદારોની મીલ્કતોને લગાવાશે તાળા

મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧ લાખથી વધુનાં બાકીદારોને ૪૫ (૧)ની નોટીસો ફટકારાઇઃ ૨.૫૦ લાખ કરદાતાઓએ : કુલ ૧૪૮ કરોડનો વેરો ભરી દીધોઃ ૨૬૦ કરોડનો આવક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ૧૫૦ કરોડનુ છેટુ

રાજકોટ તા. ર૯ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે આગામી ટૂંક સમયમાં રૂ. ૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થશે જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસ અપાયા બાદ હવે મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંતર્ગત પ હજાર બાકીદારોને બી.પી.એમ.સી.એકટની કલમ ૪૫(૧) હેઠળ નોટીસો ફટકારાયાનું ટેકસ ઓફીસરે જાહેર કર્યુ છે.

આ અંગે વેરા વિભાગનાં અધિકારીઓએ સત્તાવાર માહીતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં ર૬૦ કરોડની મકાન વેરા આવકનો લક્ષ્યાંક નકકી કરાયો છે. તેની સામે આજ દિન સુધીમાં ૧૪૮ કરોડની વેરા આવક થઇ છે.

હવે લક્ષ્યાંક સિધ્ધી માટે ૧૧૨ કરોડનું છેટુ છે. ત્યારે મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ તબકકાવાર કડક ઉઘરાણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે સૌ પ્રથમ ૧ લાખનો વેરો બાકી હોય તેવા ૭ હજાર જેટલા બાકીદારોને અલગ તારવીને તેનુ હીટ-લીસ્ટ તૈયાર કરી દેવાયુ હતુ અને હવે ટૂંક સમયમાંથી વોર્ડવાઇઝ ટેકસ ઇન્સ્પેકટરોને આ લીસ્ટ ફાળવીને રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોને ત્યાં ઘરે જઇને ડીમાન્ડ નોટીસ આપી વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરાયેલ.

હવે પ હજાર જેટલા ૧ લાખથી વધુ રકમના બાકીદારો છે. તેની સામે મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ સહીતની કાર્યવાહી શરૂ થશે.

૧.રપ લાખ નવી મીલ્કતો વેરા વિભાગના ચોપડે ચડીઃ ૮૬૦૦ હજુ બાકી...

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં વેરા વિભાગમાં ૧.૩૩ લાખ જેટલી મીલ્કતો ચોપડા ઉપર હતી જ નહી જેનાં કારણે આવી મીલ્કતોની વેરા આવક તંત્ર એ ગુમાવી પડતી હતી. દરમિયાન આવી મીલ્કતોને ચોપડા ઉપર ચડાવવા ઝૂંબેશાત્મક કાર્યવાહી થતાં આજદિન સુધીમાં ૧.રપ લાખ મીલ્કતો ચોપડા ઉપર ચડાવી દેવાઇ છે. હવે માત્ર ૮૬૯૯ જેટલી મીલ્કતોને ચોપડે ચડાવવા કાર્યવાહી હાથ ધરાયાનું અધિકરીઓએ જણાવ્યું હતું. જે મીલ્કતો ચોપડા ઉપર ચડાવવાની બાકી છે તેવા  જુના રાજકોટમાં ૪૪૯, નવા રાજકોટમાં ૧ર૦ર સામાકાંઠે ર૯૯૮ એમ કુલ ૮૬૯૯ મીલ્કતોને ચોપડે ચડાવવાની બાકી છે.

(3:43 pm IST)