Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

કોન્ગો ફિવર ઇતરડી કરડવાથી ફેલાતો રોગઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા માર્ગદર્શિકા જાહેર

કોન્ગો ફિવર વિષે જાણકારી

ક્રીમિયન કોન્ગો હેમરેજીક ફિવર એ વાયરસજન્ય રોગ છે કે જે ઇતરડી જન્ય વાયરસ (નૈરો વાયરસ) દ્વારા ફેલાતો તાવ છે. આ રોગ સૌ પ્રથમ ક્રીમીયાની અંદર ૧૯૪૪ માં જોવા મળેલ છે જે બાદ ૧૯૬૯ માં કોન્ગોમાં જોવા મળેલ. જેના કારણે તેને ક્રીમિયન કોન્ગો તરીકે ઓળખવામાં આવે છે.આ રોગ મુખ્યત્વે પુર્વીય યુરોપ, ચાયના, મધ્ય એશિયા, દક્ષિણ યુરોપ, આફ્રિકા તેમજ ભારતીય ઉપખંડોમાં જોવા મળે છે.

કોન્ગો ફિવર કઈ રીતે ફેલાય છે ?

આ રોગ ઇતરડી(હાયલોમા ટીક) ના કરડવાથી ફેલાય છે.જેઆ વાયરસના ફેલાવા માટેજવાબદાર છે. ઘણા જંગલી તેમજ પાલતુપ્રાણીઓ જેવા કેગાય, ઘેટા-બકરા, સસલું વગેરેનાશરીર પર આઇતરડી રહેછે. આ પ્રાણીઓમાં આ વાયરસનો વિકાસ થાય છે પરંતુ આ પ્રાણીઓમાં રોગના ચિહ્રનો જોવા મળતા નથી. માણસમાં આ વાયરસનો ફેલાવો ચેપી પ્રાણીના લોહી અથવા ઇતરડીના કોન્ટેકટથી થાય છે. ત્યારબાદ આ રોગનો ફેલાવો એક ચેપી માણસમાંમાંથી અન્ય વ્યકિતમાં ચેપીલોહી કે અન્ય સ્ત્રાવના સંસર્ગથી થાય છે. હોસ્પિટલોમાં તબીબી સાધનોના અપૂરતા સ્ટરીલાયઝેશન, સીરીંજ-નીડલના ફરી વપરાશ તેમજ તબીબી સાધનોના ચેપથી પણ આ રોગ ફેલાતો હોવાનું નોંધાયેલ છે. આ રોગનો ઇન્કયુબેશન પીરીયડ મોટાભાગે ૧ થી ૯ દિવસ હોય છે. પરંતુ માનવથી માનવમાં ફેવાલા દરમ્યાન ૧૫ દિવસ સુધી પણ ઇન્કયુબેશન પીરીયડ જોવા મળેલ છે.

રોગના લક્ષણો અને ચિન્હો

આ રોગના લક્ષણો ઇતરડીના કરડવાના ૧ થી ૩ દિવસ પછી અથવા ચેપી લોહી અથવા ટીસ્યુના સંપર્કમાં આવ્યાના ૫ થી ૬ દિવસ પછી શરુ થાય છે. પ્રાથમિક લક્ષણોમાં સ્વભાવમાં અસ્થિરતા, ઉશ્કેરાઈ જવું, માનસિક મુંજવણ, ગળામાં ચેપ, નાકમાંથી રકતસ્ત્રાવ, ઉલ્ટી થવી વગેરે છે. ૭૫ કેસમાં લક્ષણો શરૂ થયાના ૩ થી ૫ દિવસમાં રકતસ્ત્રાવ શરૂ થઈ જાય છે . ખુબ વધારે તાવ ૧૦૨ ડિગ્રી કે તેથી વધારે સતત ૪ થી ૫ દિવસ સુધી તથા તાળવામાં તેમજ શરીરના ભાગો પર લાલ ચકામાં, આંખો લાલ થવી. લીવર પર સોજો ચડવો અને દુઃખાવો થવો.ઇન્જેકશનની જગ્યાએ લોહી વહેતું રહેવું. માથું, પીઠ, પેટ તેમજ સાંધામાં દુઃખાવો થવો

કેવી વ્યકિતઓને થઈ શકે

પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિતઓ, કતલખાનામાં કામ કરતા વ્યકિતઓ અને પશુ ચિકિત્સકો, દર્દીઓના સંપર્કમાં આવતા આરોગ્ય કર્મચારીઓ

કઈ રીતે અટકાવી શકાય

ઈતરડીને દુર કરવા માટે પશુઓ પર ડેલ્ટામેથ્રીન ૧.૨૫ ટકા દવાનો સ્પ્રે કરવો કે ફલુમેથીન દવા લગાડવી. ડીઈઈટી ધરાવનાર કીટનાશક રીપેલેન્ટ આ ઇતરડી સામે ખુબ જ અસરકારક છે. ડેલ્ટામેથ્રીન દવાનો સ્પ્રે ઈતરડીના છુપાવવાનાં સ્થાનો, કોઢ ગમાણ, તેની આજુબાજુની દીવાલોની તિરડો, બખોલો વગેરે સ્થાનોએ કરવો આવશ્યક છે. અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાના છંટકાવ દ્વારા ટીક (ઇતરડી) નિયંત્રણ કરી વાયરસનું વહન પ્રાણીથી માનવ સુધી થતું અટકાવી શકાય. કચરો તથા બિનજરૂરી દ્યાસ પાથરીને સળગાવવાથી નુકસાન કારક જીવ જંતુઓનો નાશ થાય છે. પશુઓને રાખવાની જગ્યા સમયાંતરે બદલવી.  ઈતરડીઓ રાત્રિના સમય દરમિયાન તેઓનાં રહેઠાણના સ્થળમાંથી બહાર આવતી હોવાથી પશુઓના રહેઠાણમાં લીમડાનાપાનનોધુમાડોકરવો. હવાડાની આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી, ઉકરડા માનવ રહેઠાણથી દૂર રાખવા, મળમૂત્રથી નિકાલ અર્થે નીકો સાફ રાખવી. કાચું રહેઠાણ, છાપરું અને લાકડાંનો ઉપયોગ કરીને ગમાણ બનાવાયું હોય તેવા કિસ્સામાં સદ્યળી જગ્યાએ દવા છંટકાવ કરવો. પશુપાલન અને કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યકિતઓએ તેમના શરીરની ચામડી તેમજ કપડાઓ ઉપર કીટનાશક રીપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ વ્યકિતઓએ હાથ અને પગના મોજા ઉપરાંત આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા હિતાવહ છે. આ વ્યકિતઓએ પ્રાણીઓ કે રોગના ચિન્હો ધરાવતા વ્યકિતઓના લોહી કે શરીરના અન્ય સ્ત્રાવનો સંપર્ક નિવારવો જોઈએ. આ રોગના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મચારીઓએ પણ પુરતા ચેપનાશક પગલા (ઇન્ફેકશન કંટ્રોલ પ્રિકોશન) લેવા જોઈએ.     ગંદકીનો નિકાલ કરવો તેમજ આજુ બાજુ સ્વચ્છતા જળવાઈ તે માટે જરૂરી પગલા લેવા.

(3:52 pm IST)