Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટમાં હાડ થીજાવતી ઠંડીએ ભોગ લીધોઃ જંગલેશ્વરમાં પ્રોઢ ઠૂંઠવાઇ ગયા

જમણા હાથ પર અંગ્રેજીમાં 'એ' અને 'આર' ત્રોફાવેલાઃ વાલીવારસને શોધતી ભકિતનગર પોલીસ

રાજકોટ તા. ૩૦: છેલ્લા બે દિવસથી રાજકોટમાં ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે.  આ દરમિયાન જંગલેશ્વરમાં એક અજાણ્યા પ્રોઢનું ઠંડીમાં ઠૂંઠવાઇ જવાથી મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર હુશેનીચોક વિસ્તારમાં આટા ફેરા કર રહેલા અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોઢ સવારે છએક વાગ્યે ચાલીને જતાં હતાં ત્યારે ધ્રુજતા ધ્રુજતા અચાનક પડી જતાં બેભાન જેવા થઇ ગયા હતાં. લોકોએ તેમને ઓટલા પર સુવડાવી ગોદડા ધાબળા ઓઢાડ્યા હતાં અને ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ ૧૦૮ના ઇએમટી દિવ્યાબેનએ તેમને તપાસતાં મોત નિપજ્યું હોઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ જે. કે. ગઢવીએ ભકિતનગર પોલીસને વાકેફ કરતાં એએઅસાઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા તથા મયુરભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રોૈઢનું ઠંડીમાં ઠૂંઠવાઇ જવાથી જ મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. પોસ્ટ મોર્ટમ બાદ સાચુ કારણ બહાર આવશે. મૃતક પ્રોૈઢની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તેમના જમણા હાથ પર અંગ્રેજીમાં 'એ' અને 'આર' ત્રોફાવેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:21 pm IST)