Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પાંજરાપોળના ચંદ્રેશભાઇ લુહારનો બેડીનાકા પાસે રેનબસેરામાં ગળાફાંસો ખાઇ આપઘાત

કુંભાર ભગતની શેરીમાં રહેતાં યુવાન અને તેના પત્નિ રાત્રે રેનબસેરામાં સુવા જતા'તાઃ પત્નિ સુરત ગયા બાદ પગલું : પીવાની ટેવ અને દેણાથી કંટાળીને પગલું

રાજકોટ તા. ૨૮: પાંજરાપોળ કુંભાર ભગતની શેરીમાં રહેતાં ચંદ્રેશભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.૩૮) નામના લુહાર યુવાને બેડીનાકા ટાવર પાસે આવેલા રેનબસેરામાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. દારૂ પીવાની ટેવ અને દેણાથી કંટાળીને પગલું ભર્યાનું તેમના પરિવારજનોનું કહેવું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કુંભાર ભગતની શેરીમાં રહેતાં ચંદ્રેશભાઇ અને તેના પત્નિ સ્મીતાબેન પાંજરાપોળમાં મોટા ભાઇ કિરીટભાઇ સાથે રહેતાં હતાં. પણ રાત્રીના સમયે બંને રેનબસેરામાં સુવા જતાં રહેતાં હતાં. ચંદ્રેશભાઇ ઈમિટેશનનું કામ કરતાં હતાં પણ હાલમાં પંદરેક દિવસથી કામ છોડી દીધુ હતું. પરમ દિવસે સ્મિતાબેને પોતે સુરત જઇ રહ્યાનો જેઠને ફોન કર્યો હતો. ગઇકાલે ચંદ્રેશભાઇ ઘરે જમવા ન આવતાં તેના ભાઇઓ તપાસ કરવા રેનબસેરા ખાતે પહોંચ્યા ત્યારે અંદરથી તેમની લટકતી લાશ મળી હતી.

એ-ડિવીઝનના પી.એસ.આઇ. કે. એ. જાડેજા અને હારૂનભાઇ ચાનીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ચંદ્રેશભાઇને સંતાન નથી. તે પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં પાંચમા નંબરે હતાં. પીવાની ટેવ હોઇ અને દેણુ વધી ગયું હોઇ જેથી કંટાળી જઇ પગલું ભર્યાની શકયતા પરિવારજનોએ જણાવી હતી.

(12:41 pm IST)