Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ભૂચર મોરીઃ ક્ષત્રિય ખુમારીનો ધબકતો ઇતિહાસ

શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગી નાખ્યું હતું : પ૦૦ વર્ષ પુર્વે ધ્રોલ પાસેના મેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતોઃ કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલીદાન આપ્યા હતા

આજથી પાંચસો વર્ષ પહેલા જામનગર જિલ્લાના ધ્રોળથી વાયવ્ય ખુણા તરફે ભૂચરમોરીના મેદાનમાં રાજધર્મ અને આશરાધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજીના નેતૃત્વમાં દિલ્હીમાં બાદશાહ અકબરે મોકલેલા લશ્કર સામે અભુતપુર્વ લોહીયાળ સંગ્રામ ખેલાયો હતો અને જામનગરના કુંવર અજાજી અને હજારો નવજુવાનિયા ક્ષત્રિય નરબંકાઓએ જીવ સટોસટીની લડાઇ ખેલી પોતાના જીવનનું બલિદાન આપીને પણ આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝફર શાહનું રક્ષણ કર્યું હતું.

આ વીરગાથા પ્રમાણે વિક્રમ સંવત ૧૬૨૯માં દિલ્હીમાં રાજય કરતા બાદશાહ  અકબરે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજય કબજે કર્યું હતું. અને અકબર મુઝફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો હતો. અને કડક જાપ્તા વચ્ચે  તેને દિલ્હીનાં કેદખાનામાં રાખ્યો હતો. પરંતુ આમ છતાં મુઝફર શાહ લોખંડી જાપ્તાને ભેદીને કેદમાંથી નાશી છુટયો. અકબરે તેને પકડી પાડવા લાવ લશ્કર તેની પાછળ દોડાવ્યા, સેંકડો સિપાહીઓ અને લશ્કરી હાકેમો તેને પકડવા મથ્યા પરંતુ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો. આવડી મોટી ફોજ પાછળ પડી હતી તેનાથી સંતાવું કે બચવું સહેલું ન હતું આથી રઝળપાટ કરતા રહીને ગુજરાતના કેટલાય રાજાઓને શરણે ગયો પરંતુ દિલ્હીના બાદશાહ અકબરની ધાક અને હાકને કારણે બધાય રાજાઓ ડરી જઇને તેને આશરો આપવાની હિંમત કરી નહિ. છેવટે મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તેતો ક્ષત્રિયનો ધર્મ છે તેમ સમજીને જામસતાજીએ તેને શરણે રાખી આશરો આપ્યો અને તેની સલામતીનો પાકો બંદોબસ્ત કર્યોં બરડા ડુંગરમાં તેના રહેઠાણની વ્યવસ્થા કરી.

આ તરફ દિલ્હીના બાદશાહના સિપાહીઓ મુઝફર શાહની શોધખોળ ચાલુ જ રાખી હતી. અમદાવાદમાં અકબરનો સુબો મુરઝા અઝીઝને જાણ થઇ કે જામસતાજીએ મુઝફર શાહને આશરો આપ્યો છે આથી તેણે તાબડતોડ લાવલશ્કર લઇ જામનગર આવવા નિકળ્યો તે દરમ્યાન તેણે જામનગરના રાજવી જામસતાજીને ફરમાન કર્યું અને કહયું કે મુઝફર શાહ અમને સોંપી દયો. જામસતાજીએ વળતો ખુમારીભર્યો જવાબ મોકલ્યો કે શરણાગતને  કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. આવો જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા અને જામનગર તરફ અકબરના સૈન્યે કુચ આદરી જામનગરને ભાંગીને ભુક્કો કરી નાખશું. તેવો હુંકાર તેણે કયોં.

એક તબકકે તો જામસતાજીના સૈન્ય દિલ્હીની સેનાના એક દળને રસ્તા વચ્ચે આંતરીને તેમના પર હલ્લો કરી તેને મળી હરાવ્યા. જામસતાજીના લશ્કરે દુશ્મન દળને મળતો ખાવા-પીવાનો પૂરવઠો અને શાસ્ત્રીના પૂરવઠો ન મળે તેવી વ્યુહ રચના અપનાવી આથી અકબરની સેનામાં નાસભાગ મચી ગઇ. અને ભંગાણ પડ્યુ વળી તે વખતે વરસાદી માહોલ વચ્ચે રણસંગ્રામમાં ચારે કોર ગારાકીચડ અને પાણી ભરાતા અકબરના સૈન્યની કારી ફાવી નહિ  આથી દિલ્હી બેઠેલા બાદશાહ અકબરે દિલ્હીથી જામનગર તરફ મોટુ લાવ લશકર રવાના કર્યુ દિલ્હીનો સુબો ધ્રોલ સરહદે મોટા લાવલશ્કર સાથે પહોંચ્યા બરાબર તે સમયે જામનગરના રાજા જામશ્રી સતાજી પણ પોતાના બહાદુર લશકર સાથે ત્યા ંપહોચી ગયા અને બાદશાહના સૈન્યની કુચને ત્યાંજ રોકી પાડી.

અકબર સામે જામનગરના રાજવીએ બાથ ભીડી હતી તેથી જામનગર રાજયની મદદે જુનાગઢના નવાબ દોલતખાન અને કુંડલાના કાઠી ખૂમાણ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોચી યુધ્ધમાં જોડાઇ ગયા હતા.

ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેનાએ છૂટાછવાયા હૂમલા કરતા અને જામનગર તરફ કુચ કરવાની કોશીશ કરી પણ જામનગરની ફોજે તેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી જીત મેળવી અને બાદશાહી સૈન્યે પીછેહેઠ કરવી પડી હતી.

આ પ્રમાણે આ યુધ્ધમાં બે-ત્રણ માસ વીતી ગયા. બાદશાહી સૂબો એક તબકકે કંટાળી ગયો છેવટે તેણે સમાધાન માટે  જામસતાજીનો મંત્રણાનો સંદેશો પાઠવ્યો. મંત્રણાની ખબર સાંભળી જામનગરની ફોજ સાથે યુધ્ધમાં જોતરાયેલા જુનાગઢના  નવાબ દોલતખાન અને કુંડલાના કાઠી ખૂમાણ વિચારમાં પડયા કે આ રીતે તો લડાઇમાં જામનગરનો વિજય વાવટો ફરકશે અને આપણા રાજયોની સત્તા નહિ રહે. આમ વિચારી આ બન્ને રાજાઓએ દિલ્હીની સેવા સાથે ભળી જવાનો ત્રાગડો રચ્યો. દુશ્મન દેશ સાથે ભળી ગયા તેની ગંધ પણ જાસમતાજીને આવી. આ તરફ દિલ્હીના સુબા કોકા કે જે દિલ્હી પાછો ફરી રહ્યો હતો તેણે જામસતાજીને મંત્રણા ફોક ગણીને ફરીને યુધ્ધનો સંદેશો પાઠવ્યો. જામસતાજી યુધ્ધ માટે તૈયાર જ હતાં. યુધ્ધના મેદાનમાં લશ્કરો ભીડાયા. ભયંકર યુધ્ધ થયું. બાદશાહની સેના ટપોટપ કપાવા માંડી અને તેના સૈન્યમાં નાસભાગ મચી ગઇ. ક્ષત્રીય સેના સાથે જોડાયેલા અનેક નરબંકાઓએ બાદશાહની સેનાને ધૂળચાટતી કરી દીધી અપ્રતિમ શૌર્યથી જામનગરના રણબંકાઓની યુધ્ધના મેદાનમાં હાક અને ધાક પ્રસરી ગઇ. બરાબર આ તબકકે જૂનાગઢના દોલતખાન અને કૂંડલાના કાઠી ખુમાણ બાદશાહની સેના સાથે ભળી ગયા. ફરીને બાદશાહી ફોજ અને જામનગરની ફોજ વચ્ચે સામસામે યુધ્ધ જામ્યું. સતત ત્રણ પ્રહાર આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. જામનગરના જેશા વજીરે જામનગરની વ્હારે આવેલા દોલતખાન અને કાઠી ખૂમાણ ખૂટલ નિકળ્યા  અને દુશ્મનો સાથે ભળી ગયો હોવાનું જામસતાજીને જણાવી આમ છતાં આ યુધ્ધ જીતી લેવાનો ટંકાર કર્યો. અને જામસતાજીને જામનગર જઇને રાજ તખ્તનું રક્ષણ કરવા કહયું. તેમની વાતને અનુસરીને જામસતાજી જામનગર પાછા ફર્યાં.

રણમેદાનમાં જેશા વજીર વગેરેએ બાદશાહી સેના સામે સંગ્રામ ચાલુ રાખ્યો.

આ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતાં. તેથી તેઓ જામનગરમાં હતાં. તેને ભીષણ યુધ્ધની ખબર મળતા જ જાનમાં આવેલા પ૦૦ જાનૈયા અને અન્ય લોકોને લઇને લગ્નના માંડવેથી જ રણસંગ્રામ ભૂચર મોરી ભણી ધસી ગયાં.

યુધ્ધના મોરચે બાદશાહી લશ્કરની જમણી બાજૂએ હાકેમો સૈયદ કાસીમ, નવરંગખાન, ગુજરખાન તથા ડાબી બાજૂએ વિખ્યાત સરદાર મોહમદ હતો. તેની સામે બાદશાહના અમીરો, જમીનદારો હતાં. અને નવાબ હુમાયુનો પુત્ર મીરઝા અને મદર ભાગે મરહમનું આધિપત્ય હતું. તેની આગળ મીરઝા અનવર અને નવાબ હતો. જયારે જામસતાજીના સૈન્યની આગળના ભાગે જશા વજીર અને કુંવર અજાજી હતાં. જમણી તરફ કુબર જશાજી તથા મહેરામણ જીંડુ ગરાણી જયારે ડાબી તરફ નાગડો વજીર, ડાહયો લોકડ, ભાણજી દલ વગેરે યોધ્ધાઓ હતાં. નવાબ અન્વરે તથા ગુજરખાને કુંવર અજાજી  તથા જેશા વજીર અને અતીત બાવાની જમાત પર હૂમલો કર્યો. અતિત બાવાની જમાત (સંઘ) દ્વારકાની યાત્રાએ જતી હતી. જે યાત્રાને પડતી મુકીને યુધ્ધમાં જામના લશ્કર સાથે જોડાઇ ગયા અને દુશ્મનોમાં હાક બોલાવી દીધી. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતા તો સામી બાજુ જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં ઓછું (નાનું) હતું પરંતુ ક્ષત્રીયોનું શૌર્ય અપ્રતિમ હતું. કુંવરશ્રી અજાજીએ દુશ્મનના સૂબા પર ખુંખાર હૂમલો કર્યો. હાથી પર સવાર સુખા ઉપર એ રીતે હૂમલો કર્યો કે પોતે જે ઘોડા પર   સવાર હતા. તેને હાથીના દંતશુળ નજીક ઠેરવીને કુંવર અજાજી ઘોડા પરથી હાથીના દંતશુળ પર પગ મુકી સુબા પર બરછીનો પાણીદાર ઘા માર્યો. પરંતુ સુબાએ ઘા ચુકાવ્યો. જેથી બચ્છી હાથીની પીઠનો ભાગ વિંધીને જમીનમાં ખુંપી ગઇ. તેવામાં પાછળથી એક મોગલ સિપાહીના તલવારના સખ્ત વારથી કુંવર અજાજી શહીદ થયા. આથી ક્રોધે ભરાયેલા જામ સતાજીના શુરવીર સેનિકોએ આગબબુલા થઇ મોગલ સેનાની કાપાકાપી કરી ઝનુન સાથે તેઓ પર તુટી પડયા અને ક્ષત્રીય નરબંકાઓએ હજારો દુશ્મનોની જોતજોતામાં કતલ કરી નાખી. શત્રુ સેનામાં નાસભાગ અને હાહાકાર થઇ ગયો. જો કે પછી જામ સતાજીની સેના સાથે રહેલા દોલતખાનની સેના અને કાઠી ખુમાણની સેના દુશ્મનો સાથે ભળી જતા જામનગરની સેના લડાઇમાં હારવા માંડી. ભુચર મોરીના આ યુધ્ધમાં જશો વજીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજી દલ, ડાહયો લાડક, નાગ વજીર, તોગાજી સોઢા વગેરે વીર પુરૂષો શહીદ થયા. દુશ્મનોના શાહી લશ્કરમાં માત્ર મુખ્ય સુબો અજીજ કોકા જીવતો રહયો. જામ સતાજીના કુમાર શ્રી જશોજી અને થોડા ઘણા સૈનિકો બચ્યા. જામ સતાજીના લશ્કરને હરાવી દિલ્હીની સેના જામનગર તરફ કુચ કરવા માંડી. કુમારશ્રી અજાજી લડાઇમાં શહીદ થયા છે તે જાણીને રાણીને સત ચઢયુ અને પોતે રથ લઇ રણક્ષેત્ર (ભુચર મોરી) આવ્યા. મોગલ સેનાએ તેને આંતર્યા પરંતુ ધ્રોલના ઠાકોર સાહેબે સમજુતી કરતા રાણીનો રથ જવા દેવાયો. રાણી રણસંગ્રામમાં પહોંચીને ત્યાં જ શહીદ થયા. જેના માટે આ યુધ્ધ ખેલાયુ તેવો મુઝફરશાહને જામસતાજીએ પછીથી તેને સલામત સ્થળ ઓખા બંદર બાજુ રવાના કર્યો.

ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત ૧૬૪૮માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઇ થઇ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રીય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો  વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. હજારો શહીદોએ જયા પોતાના જીવ દીધા અને લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે. આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રીય નરબંકાઓના (શહીદોના) પાળીયા છે. પાળીયાની દક્ષીણ બાજુ અજાજીના રાણીશ્રી સતી થયા તેની પંજાવાળી ખાંભી છે. એક સમયે આ પાળીયાઓનો જીર્ણોધ્ધાર જામશ્રી વિભા જામે કરાવ્યો હતો. તેનું કાવ્ય અહિ શીલાલેખમાં છે. જે દેરીમાં છે. અજાજી ઘોડી કુદાવી દુશ્મનના સુબાને ભાલો મારે છે તેનું ચિત્ર પણ છે. અહી જમીન પર (નીચે) આઠ પાળીયાઓ છે. જામશ્રી અજાજીની દેરી દક્ષીણ તરફ છે. અહી કુલ ૩ર ખાંભીઓ છે. અહી ક્ષત્રીય રાજવંશ તરફથી અને આજે પણ ક્ષત્રીય સંસ્થાઓ દ્વારા આ શહીદોને સિંદુર ચઢાવાય છે. ભુચર મોરીના યુધ્ધને કારણે હાલારના લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. પરંતુ જામશ્રી રણમલજીને ત્યાં પાટવી કુંવર બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના રોજ થતા ત્યારથી તહેવારની ઉજવણી થવા લાગી અને ભુચર મોરીનો મેળો પણ ભરાવા લાગ્યો. લાખો લોકો અહી વીર પુરૂષોના દર્શન કરે છે.

આલેખન- ભરતભાઇ જોશી સ્ટેટ ફોટોગ્રાફર

મો. ૯૮૨૪૨ ૫૦૧૫૪

 

(4:00 pm IST)