Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

કોઠારીયાના ત્રેવીસ વર્ષના હર્ષ રાઠોડનો ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં પગલુ ભર્યુઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોકની કામલીમાઃ મંગતરે બનારસથી બીજી છોકરી સાથેનો ફોટો મોકલતાં કોઠારીયા સોલવન્‍ટમાં સુનિતા સિંદુર પી ગઇ

રાજકોટ તા. ૩૦: કોઠારીયામાં રહેતાં ત્રેવીસ વર્ષના યુવાને સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયઝ એરીયામાં કારખાના નજીક ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયામાં રણુજા મંદિર પાસે રહેતાં હર્ષ ગુણવંતભાઇ રાઠોડ (ઉ.વ.૨૩)એ ગઇકાલે સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીયઝ એરીયામાં આવેલા ચેતુ કંપની નામની ફેક્‍ટરી પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જાણ કરતાં માલવીયાનગરના એએઅસાઇ એ. જે. કાનગડે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ હર્ષના લગ્ન થઇ ગયા હતાં અને તે કંપનીમાં સીએનસી ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ગૃહકલેશને કારણે તેણે આ પગલુ ભરી લીધુ હતું.

બીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ બિલેશ્વર પાર્ક પાસે રહેતી મુળ બિહારની સુનિતા રાજકુમાર પટેલ (ઉ.વ.૧૮) સિંદુર પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. સુનિતા બે ભાઇ અને બે બહેનમાં નાની છે. તેના પિતા મજુરી કરે છે. તેણે કહ્યું હતું કે સુનિતાનું સગપણ સાતેક મહિના પહેલા અમારા વતન બનારસના યુવાન શુભમ્‌ સાથે થયું હતું. પણ શુભમ્‌ે ફોનમાં કોઇ બીજી છોકરી સાથેનો ફોટો મારી સુનિતાને મોકલતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું.

શાળા બદલાવાતાં ટેણીયો ફિનાઇલ પી ગયો

કણકોટના પાટીયે કૃષ્‍ણનગર પાસે રહેતાં ૧૩ વર્ષના ટેણીયાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે જાણ કરી હતી. સગાના કહેવા મુજબ ટેણીયો સાતમુ ધોરણ ભણે છે, આ વર્ષે તેની શાળા બદલવામાં આવી હોઇ તે ન ગમતાં ગુસ્‍સામાં ફિનાઇલનો ઘૂંટડો ભરી લીધો હતો. સારવાર બાદ રજા અપાઇ હતી.

પતિ-સાસુના ત્રાસથી મહિલાએ  ફિનાઇલ પીધું

જામનગર રોડ પરસાણાનગર-૪માં રહેતી અને ખાનગી દવાખાનામાં રિસેપ્‍શનીસ્‍ટ તરીકે નોકરી કરતાં તારકેશ્વરીબેન મનિષભાઇ મોટવાણી (ઉ.વ.૩૬)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિને કરિયાણાની દૂકાન છે. નાની નાની વાતે પતિ-સાસુ ઝઘડા કરતાં હોઇ અને ત્રાસ આપતાં હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું તેણીએ કહ્યું હતું.

(11:45 am IST)