Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મારામારી, લૂંટ, વાહનચોરી, આગચંપીના ગુનામાં સામેલ ત્રણ શખ્સ પાસા તળે જેલમાં

પોપટપરાના અજય, સુરેશ અને મનહરપુરના કાનાને વડોદરા, સુરત, અમદાવાદ જેલમાં ધકેલાયાઃ ગાંધીગ્રામ પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૩૦: ચૂંટણી અંતર્ગત તોફાની તત્વો સામે કાર્યવાહી અંતર્ગત વધુ ત્રણ શખ્સને પાસામાં ધકેલાયા છે. માધાપર પાસે મનહરપુર-૨ ગામમાં ઓટલા પર બેસવાની ના પાડનારા પરિવારના સભ્યો પર હુમલો કરી તેના ઘરમાં ઘુસી તોડફોડ કરી તેમજ વાહનોમાં આગ ચાંપવાનો ગુનો આચરનારા પોપટપરા-૧૪માં રહેતાં અજય ઉર્ફ અજો માનસીંગ પરસોડા (કોળી) (ઉ.૧૯) તથા તેના સાગ્રીતો સુરેશ કેશુભાઇ ઉકેડીયા (કોળી) (ઉ.૧૯-રહે. પોપટપરા) તથા પરાગ ઉર્ફ કાનો ધીરૂભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૨૦-રહે. મનહરપુર-૨)ને પાસમાં ધકેલવાની દરખાસ્તને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરી ત્રણેયને અનુક્રમ વડોદરા, સુરત અને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે.

પીસીબીના પીઆઇ એસ. એન. ગડ્ડુ અને ટીમે દરખાસ્ત મુકી હતી. જ્યારે વોરન્ટની બજવણી પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, રશ્મિનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, કિશોરભાઇ, ગોપાલભાઇ, દિનેશભાઇ, હિતુભા, કનુભાઇ, દિગુભા સહિતે કરી હતી. ત્રણેય શખ્સો સામે પ્ર.નગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં એક વર્ષ દરમિયાન ગુના નોંધાયા હતાં. અજય અગાઉ પણ પાસામાં જઇ આવ્યો છે.

(3:41 pm IST)