Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સોમવારથી ગાંધી સ્મૃતિ ચિરંજીવ થશેઃ ઉદય કાનગડ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટને અતુલ્ય ભેટ 'ગાંધી મ્યુઝીયમ': પોરબંદર કીર્તીમંદિર, કબા ગાંધીનો ડેલો, દક્ષિણ આફ્રિકાનું આંદોલન, સાબરમતી આશ્રમ, દાંડીકુચ, ભારત છોડો આંદોલન, ૧૯૪૭માં આઝાદી અને દિલ્હી ખાતે પૂ. બાપુની અંતિમવિદાય સહીતની 'મોહનથી મહાત્માની સફર' કરાવતું અદભુત મ્યુઝીયમ કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રને અર્પણ કરશેઃ મેયર બીનાબેન આચાર્ય સહીતનાં પદાધિકારીઓ દ્વારા મ્યુઝીયમની વિગતો જાહેર

રાજકોટ તા. ૨૯ : ભારત સરકારના પર્યટન મંત્રાલય, ગુજરાત સરકાર તથા રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત પ્રયાસોથી રાજકોટ ખાતે મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે આકાર પામેલ અને આવતીકાલે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થનાર મહાત્મા ગાંધી મ્યુઝીયમ વિશે માહીતી આપતા મેયર બિનાબેન આચાર્ય  ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ  મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ , શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસકપક્ષના દંડક અજયભાઈ પરમાર જણાવે છે કે ગુજરાત સરકાર તથા ભારત સરકારના પર્યટન મંત્રાલય ઘ્વારા સ્વદેશ દર્શન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરીણામલક્ષી પ્રયત્નોથી અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના હાર્દસમા જવાહર રોડ પર આવેલ મોહનદાસ ગાંધી વિધાલય ખાતે અંદાજે રૂ.રપ કરોડથી વધુ ખર્ચે વિશ્વની અજાયબી સમાન મહાત્મા ગાંધી મ્યુઝીયમ તૈયાર કરવામાં આવેલ છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બાળપણ અને પ્રાથમીક તથા હાઈસ્કુલ શિક્ષણના સાક્ષી રહેલ આ રાજકોટ શહેરમાં ગાંધીજીની કાયમી સ્મૃતી રૂપે આ મ્યુઝીયમનું અનોખું યોગદાન રહેશે.

આ મ્યુઝીયમમાં પ્રવેશ કરતા જ પ્રાર્થના હોલ દ્રષ્ટિગોચર થશે. જેમાં અમદાવાદ ખાતે આવેલ સાબરમતી આશ્રમના  'હદયકુંજ'ની પ્રતિકૃતી તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રાર્થના હોલમાં બેસીને પુજય મહાત્મા ગાંધીના પ્રિય ભજનો શાંતી પુર્ણ તેમજ ખુબ જ આહલાદક વાતાવરણમાં સાંભળી શકાશે. આ ઉપરાંત રૂમ નં.–૧ તથા ર માં ગાંધીજીના જન્મ સ્થળ, તેમના કુટુંબીજનો તથા રાજકોટ ખાતે આવેલું તેમનું ઘર કે જે 'કબાગાંધી'ના ડેલા તરીકે

લોકજીભે જાણીતું છે. તેની સંપુર્ણ માહીતી ઉપલબ્ધ થશે. તેની સાથોસાથ રાજકોટ શહેરમાં તે વખતના પરાં વિસ્તારમાં આવેલ આલ્ફ્રેડ હાઈસ્કુલમાં તેઓએ હાઈસ્કુલના શિક્ષણની શરૂઆત કરેલ તે વિગત મળી રહે છે. માત્ર ૧ર વર્ષની નાની ઉંમરે સને ૧૮૭૬માં પોરબંદરના કસ્તુરબા સાથે તેમના લગ્ન થયેલ અને ત્યાર બાદ ૧૮૮પમાં પિતાશ્રી કરમચંદ ગાંધીનું અવસાન થયેલ જે ગાંધીજી પોતાના જીવનની સૌથી દુઃખદ ઘટના પૈકી એક ગણાવે છે તે દ્રષ્ટીગોચર થાય છે. 

રૂમ નં.૪ તથા પ માં ગાંધીજી ઉચ્ચ અભ્યાસ અર્થે વિલાયત ગયેલ તેની વિગતો દર્શાવવામાં આવેલ છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા ગયેલ અને ત્યંા પિટઝ મેરીઝબર્ગ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમયાન તેમને થયેલ રંગભેદના કડવા અનુભવ વિશેનું ચિત્રી કરણ અને પ્રોજેકશન મેપીંગ કરવામાં આવેલ છે. આજ ખંડમાં તેઓએ લંડન ખાતેનો ઉચ્ચ અભ્યાસ તથા તેઓએ મુબંઈમાં કરેલ સંઘર્ષ વિશે માહીતી આપવામાં આવેલ છે.

રૂમ નં.–૭માં દક્ષિણ આફ્રિકામાં વસેલ ભારતીયોને ટ્રાન્સવર્સલ રજીસ્ટ્રેશન  સર્ટીફીકેટ રાખવા અને તે મેળવવામાં પડતી અનહદ હાલાકી તથા ગાંધીજીએ તેને કાળો કાયદો ગણી આ કાયદાને બાળી નાખેલ તે ધટના ઈન્ટરેટીવ ટેકનીકથી તાદ્રષ્ય કરવામાં આવેલ છે.  સ્વદેશ આગમન બાદ મીઠાના કાળા કાયદાના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી દક્ષીણ ગુજરાતના દાંડી સુધીની ઐતિહાસીક 'ગ્રેટ દાંડી માર્ચ'તથા તેમના રાજકીય ગુરૂ લોકમાન્ય તીલક તથા ગોપાલકૃષ્ણ ગોખલે સાથે થયેલ મુલાકાતની સવિસ્તર માહીતી આપવામાં આવેલ છે.  

આ ઉપરાંત અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલ સાબરમતી આશ્રમ, ખેડા સત્યાગ્રહ, જલીયાનવાલા બાગની ઘટના તથા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, અંગેની માહીતી ચિત્રો ઘ્વારા આબેહુબ તાદ્રષ્ય કરવામાં આવેલ છે. તો સાથોસાથ હિંદુ મુસ્લિમોની એકતા માટે મહાત્મા ગાંધીએ કરેલ ર૧ દિવસના ઉપવાસ, અને બારડોલી સત્યાગ્રહ, તથા પુર્ણ સ્વરાજયની લડતની માહીતી ખુબ સારી રીતે આપવામાં આવેલ છે.

ગાંધીજીની ડોે બાબા સાહેબ આંબેડકર, રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી સાથેની મુલાકાત તથા ૧૯૪રના ભારત છોડો આંદોલન તથા પુનાના આગાાખાન મહેલમાં તેમના જીવન સંગીની કસ્તુરબાના થયેલ અવસાનની વિશેષ માહીતી આપવામાં આવેલ છે.

૧પ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે દેશ બ્રિટીશરોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે દિલ્હીના ઐતીહાસીક લાલકિલ્લા પર ભારતનો રાષ્ટ્રઘ્વજ લહેરાવી આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તે માહીતી ડીજીટલ થ્રી પ્રોજેકટથી સુંદર રીતે રજુ કરવામાં આવેલ છે. ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે મહાત્મા ગાંધીનું અવસાન થયેલ બાદમાં કોમ્યુનલ રાયોટસ, અને મહાત્મા ગાંધીને વિશ્વભરના નેતાઓએ આપેલ શ્રઘ્ધાંજલી વિશે માહીતી આપવામાં આવેલ છે.

વિશેષમાં ઉદયભાઈ જણાવે છે કે આ મ્યુઝીયમના પ્રથમ માળે ગાંધીજીના જીવના મુલ્યો સત્ય, અહીંસા, અપરીગ્રહ, અભય, અસ્વાદ, જાતમહેનત, બ્રહમચર્ય, અસ્તેય, અસ્પૃશ્યતા, સર્વધર્મ સમભાવ, તથા સ્વદેશી વિશેના વિચારોને ઓડીયો તથા વિડીયો થી રજુ કરવામાં આવેલ છે. તો સાથોસાથ મહાત્માજીના આઘ્યાત્મીકગુરૂ શ્રીમદરાજચંદ્ર વિશેની માહીતી દર્શાવવામાં આવી છે.

આજના યુગમાં ગાંધીમુલ્યોને જીવંત રાખનાર શ્રી નારાયણભાઈ દેસાઈની ગાંધી કથા ઓડીયો–વિડીયો ઘ્વારા સાંભળવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ગાંધીજીના ભાષણો તથા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર સંગ્રામમાં યોગદાનની માહીતી રજુ કરવામાં આવેલ છે. તેમજ થિયેટર હોલમાં ગાંધીજીના વિચારો તથા તેમના જીવન મુલ્યો વિશે ઓડીયો તથા વિડીયો ફીલ્મ પ્રદર્શીત કરવામાં આવશે.

કીડજ ગેલેરીમાં 'ટોકવિથ બાપુ'થી બાળકો માટે એક ખાસ શો તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બાળકો ગાંધીજી સાથે પુર્વ યોજીત પ્રશ્નો પૈકી કોઈપણ પ્રશ્નો પુછી શકશે તેનાથી તેમને ગાંધીજી સાથે વાત  થયાની અનુભુતી થશે.    આ ઉપરાંત મહાત્મા ગાંધીના જીવનના જુદાજુદા પાસોઓ તેમજ વિચારોને ૩ પ્રોજેકશન મેપીંગ ઘ્વારા પ્રદર્શીત કરવામાં આવનાર છે. 

અંતમાં ઉદયભાઈ જણાવે છે કે આ હાઈસ્કુલમાં ગાંધીજીએ ૭ વર્ષ સુધી અભ્યાસ કરેલ. આથી તેઓની ચિરંજીવ સ્મૃતી આ અત્યાધુનીક મ્યુઝીયમ સાથે અમર રહેશે. મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મજયંતીની ખરી ઉજવણી એટલે આ મ્યુઝીયમનું  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં તેનું ભવ્ય લોકાર્પણ અને એજ મહાત્માગાંધીને સાચી શ્રઘ્ધાંજલી ગણાશે. આપણા દેશની આવનાર પેઢીને મહાત્માજીના જીવન મુલ્યો વિશે સાચી અને વિસ્તૃત માહીતી આ મ્યુઝીયમ ઘ્વારા મળી રહેશે એ એક નિર્વીવાદ  બાબત છે.(૨૧.૨૫)

(3:46 pm IST)