Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ મેદાનેઃ રાજકોટમાં ધરણા

ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલનાં અધ્‍યક્ષ હર્ષદ રીબડીયા, પુર્વ સાસંદ વ્રિકમ માડમ, સૌરાષ્‍ટ્રના ધારાસભ્‍ય જવાહર ચાવડા, ભીખાભાઇ જોશી, બ્રીજેશ મેરજા સહિતના કોંગી આગેવાનોની હાજરી : : રાજકોટમાં ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ હાજરી આપશે?

ખેડુત હીત રક્ષકઃ રાજયમાં ખેડુતોને થઇ રહેલા અન્‍યાયને વાચા આપવા આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસનાં કિસાન સેલનાં અધ્‍યક્ષ અને કોંગી ધારાસભ્‍ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે ધરણાનાં કાર્યક્રમ યોજાયો તે પુર્વે ધરણા કાર્યક્રમની વિગતો આપેલતે વખતની તસ્‍વીરમાં શ્રી રિબડીયા સાથે શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશ રાજપુત દર્શાય છે.(તસ્‍વીર-સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૯: ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલનાં અધ્‍યક્ષ હર્ષદભાઇ રીબડીયા, ધારાસભ્‍ય, આગેવાનોની ઉપસ્‍થિતિમાં રાજકોટના ત્રિકોણબાગ ખાતેસવારે ૧૦ થી બપોરના ૨ સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

ખેડૂતોને આ દેશની ત્રીજા નંબરની પ્રજા ગણતા અને ખેડૂતોનું શોષણ કરવા માટેની નીતિઓ બનાવતા તથા ખેડૂત કાયમી દેવાના બોજ હેઠળ રહે એ પ્રકારની માનસિકતા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના કરતૂતોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને રજૂ કરવામાં આવી હતી.

હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આયોજીત ભ્રષ્‍ટાચાર ચાલે છે. જેમાં મગફળીના ગોડાઉનો સળગાવવા, મળતીયાઓને કોન્‍ટ્રાકટ આપવા, ચેક ડેમો અને ડેમો ઉંડા ઉતારવામાં કરોડો રૂપિયા વેડફવા, તથા ખેડૂતોની મુળભૂત માંગણીઓ, પોષણક્ષમ આપવા, સ્‍વામીનાથન કમીટીની ભલામણને લાગુ કરવા, સૌરાષ્‍ટ્રના ખેડૂતોના વીજ કનેકશનોને પ્રાયોરીટી આપવા, વન્‍ય પ્રાણીઓની રંઝાડ સામે રક્ષણ આપવા, એપીએમસી એકટની જોગવાઈઓને કાયદો બનાવવા સહિતની માંગણીઓ આ ધરણા દ્વારા સરકારશ્રી પાસે રજૂઆત કરનાર છે.

સૌરાષ્‍ટ્રભરના પ્રતિનિધિઓ અને ખેડૂતો આ ધરણાના કાર્યક્રમમાં ભાગ લેનાર હોય, રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઈ વોરાએ ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરેલ  ધરણા કાર્યક્રમ સફળ બનાવવા જીલ્લા પંચાયતના સભ્‍યો, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, પક્ષના પદાધિકારીઓની મળેલ મીટીંગમાં પ્રદેશ મહામંત્રી  હેમાંગભાઈ વસાવડા, જી. પી. કારોબારી ચેરમેન  અર્જુનભાઈ ખાટરીયા, ઉપપ્રમુખ સુભાષ માંકડીયા, જીપીસીસીના મંત્રી  ચંદુભાઈ શીંગાળાએ માર્ગદર્શન આપેલ હતું.

આ ધરણામાં જામનગરનાં પૂર્વ સાસંદ વિક્રમ માડમ, જુનાગઢનાં ભીખાભાઇ જોશી, મોરબીનાં બ્રિજેશ મેરજા, ધોરાજીના લલીતભાઇ વસોયા  સહીતનાં ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. બપોરે ૧ વાગ્‍યે ધરણા બાદ રેલી સ્‍વરૂપે કોંગી આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ રાજયપાલશ્રીને સંબોધિને આવેદન પત્ર કલેકટરશ્રીને આપ્‍યુ હતુ.

 

(12:03 pm IST)