Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

લક્ષ્મીવાડીમાં દાગીના અને પૈસાની માંગણી કરી પ્રિયાબા ઝાલાને પતિનો ત્રાસ

પરિણીતાની ફરિયાદ પરથી પતિ સંજયસિંહ સામે ગુનો

રાજકોટ,તા. ૨૯: લક્ષ્મીવાડીમાં રહેતી પરિણીતાને દર તહેવારમાં માવતરેથી પૈસા અને દાગીના લઇ આવવાનું કહી પતિ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દેવપરામાં નંદાહોલ પાસે માવતર ધરાવતા અને લક્ષ્મીવાડી શેરી નં. ૭/૧૬ માં સાસરીયું ધરાવતા પ્રિયાબા સંજયસિંહ ઝાલાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું નામ આપ્યું છે. પ્રિયાબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અંગ્રેજી માધ્યમમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે. પોતાના છ વર્ષ પહેલા લક્ષ્મીવાડી શેરી નં. ૭/૧૬માં રહેતા અને મોન્ટુ રાજા ટ્રાવેલ્સનું સંચાલન કરતા સંજયસિંહ ઝાલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ દર તહેવાર પોતાની પાસે માવતરેથી પૈસા લઇ આવવાનું કહેતા અને માર મારતા હતા. તેણે પોતાના ઘરેણા લઇ અને વેડફી નાખ્યા હતા. પતિ અવાર નવાર નજીવી બાબતે મારમારી શારીરીક માનસીક ત્રાસ આપે છે અને પોતાના માતા-પિતા સાથે પણ અવાર નવાર ઝઘડો કરી મારામારી કરી હતી. તેમજ પોતાના બાળકોને પણ મારમારે છે. પોતાને તથા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને સાસુ, સસરા સાથે પણ ઝઘડો કરી મારામારી કરી હતી. ગત તા. ૨૭ના રોજ પતિ દારૂ પીધેલી હાલતમાં આવેલ અને સસરા તથા પોતાની સાથે પૈસા બાબતે બોલાચાલી કરી અને મારામારી પોતાના કપડા ફાડી નાખ્યા અને ઘરમાંથી નીકળી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના વાળ પકડી મારમાર્યો હતો. પોતાને માથાના ભાગે ઘડીયાળ વાગી જતા લોહી નીકળેલ અને સાસુ -સસરા વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતોફ. બાદ સસરાએ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ અને પોલીસે તેને પીધેલી હાલતમાં લઇ જઇ કેસ કર્યો હતો. બાદ પોતાને તેના ભાઇ શકિતસિંહ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એ.કે.સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)