Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુરૂ દતાત્રેય સહકારી મંડળીનો રૂ. ૧,૧૧,૭૩,૮૪૮ વિક્રમી નફોઃ વાણીયાવાડી વિસ્તારમાં શાખા ખોલાશે

૫૦૦૦થી વધુ સભાસદોઃ ટીમ ટપુભાઈએ માવજત કરતા સહકારી ક્ષેત્રે બીજ બન્યુ વટવૃક્ષ

રાજકોટ, તા. ૨૯ :. સહકારી ક્ષેત્રે માનભર્યુ પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ૧૫ મે ના રોજ મંડળીના કાર્યાલય 'દત્ત ભવન', સંત કબીર રોડ ખાતે મળેલ. જેમાં મંડળીના અધ્યક્ષ ભૂતપૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયાએ મંડળીની અવિરત પ્રગતિની ઝલક આપી હતી. વિતેલા નાણાકીય વર્ષઃ ૨૦૧૭-૧૮માં મંડળીનો ચોખ્ખો નફો રૂ. ૧,૧૧,૭૩,૮૪૮ થયેલ છે. મંડળીમાં કુલ ૫૦૦૦થી વધુ સભાસદો છે. અત્યાર સુધીમાં અગાઉ બાર વખત ભેટ અપાઈ ગઈ છે. હવે પછી આવતા વર્ષેઃ ૨૦૧૯માં ભેટ આપવાની કલ્પના છે.

સભાસદોને સંબોધતા અધ્યક્ષ ટપુભાઈએ જણાવેલ કે, ૧૯૯૯માં સહકારી ક્ષેત્રે આપણી મંડળીના અસ્તિત્વનું બીજ રોપાયેલ જે આજે સૌ સભાસદોના સહયોગ તેમજ સંચાલક મંડળની સુઝબુઝ અને સ્ટાફની નિષ્ઠાથી વટવૃક્ષ બની ગયુ છે. મંડળીને ૩૩૩-૦ ચોરસ વાર જગ્યામાં પોતાની માલિકીનું મકાન છે. ૩,૨૫,૦૦,૦૦૦ની બેન્ક ડીપોઝીટ મંડળીની આર્થિક સધ્ધરતાનું ઉત્તમ ઉદાહરણ છે. બચતકારોના વિશ્વાસ અને થાપણદાર સભ્યોની વિશ્વસનિયતા ગૌરવપૂર્ણ છે. મંડળી પેટા નિયમોને આધિન સામાજીક અને સેવાકીય ક્ષેત્રે પણ ઉપયોગી થવા પ્રયત્નશીલ છે. મંડળીને પ્રથમ વર્ષથી જ ઓડીટમાં 'એ' વર્ગ મળે છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં મંડળીનો ચોખ્ખો નફો રૂ. ૧,૧૧,૭૩,૮૪૮ થયેલ છે. મંદીનો માહોલ અને બેન્ક વ્યાજમાં ઘટાડો છતા મંડળીના નફામાં વૃદ્ધિ કરી શકાયેલ છે. વિતેલા નાણાકીય વર્ષમાં મંડળીએ રૂ. ૧૩,૬૦,૬૮,૦૭૯નું ધિરાણ આપેલ છે. તેમજ મંડળી પાસે રૂ. ૮,૫૩,૭૫,૬૬૫ની ડીપોઝીટ રહી છે. બાંધી મુદતની થાપણ પર મંડળી આકર્ષક વ્યાજ આપે છે.

મંડળીનો વ્યાપ વધારી વધુ લોકો સુધી તેના મીઠા ફળ પહોંચાડવા ૮૦ ફુટના રોડ નજીક વાણીયાવાડી વિસ્તારમાં મંડળીની નવી શાખા શરૂ કરવાની સક્રિય વિચારણા થઈ રહી છે. તે માટેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે ટપુભાઈ લીંબાસીયા અને ઉપપ્રમુખ તરીકે ગોરધનભાઈ કાપડીયા મજબુત નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. બોર્ડ ઓફ ડીરેકટર્સમાં એસ.આર. પટેલ, જગદીશભાઈ લાઠીયા, જયેશભાઈ બોઘરા, ધરમશીભાઈ નાથાણી, છગનભાઈ રાબડીયા, કમલેશભાઈ પટેલ, મનસુખભાઈ વેકરીયા, અરજણભાઈ મકવાણા, શાંતાબેન વેકરીયા અને હિનાબેન લીંબાસીયાનો સમાવેશ થાય છે. કાનજીભાઈ ચારોલીયા, પરસોતમભાઈ (બાબુભાઈ) વેકરીયા કો-ઓપ્ટ ડિરેકટર તરીકે સેવા આપે છે. વધુ માહિતી માટે મંડળીના કાર્યાલય ફોન નં. (૦૨૮૧) ૨૭૦૫૦૧૫ ઉપર સંપર્ક સાધી શકાય છે. મુખ્ય વ્યવસ્થાપક તરીકે જીતુભાઈ ઢોલરિયા કાર્યરત છે. સભાસદોએ મંડળીના સંચાલન અને ગતિ સાથેની પ્રગતિ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

સામાન્ય સભાની વ્યવસ્થા માટે મંડળીના કર્મચારી પરિવારે જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)