Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

વિશ્વનગરમાં દિકરીના જન્મના ૭ દિવસ બાદ સુથાર પરિણીતા શ્રધ્ધાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

માવતરના ઘરે પગલુ ભર્યુઃ બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારજનોમાં અરેરાટી

રાજકોટ તા. ૨૯: વિશ્વનગર-૬માં રહેતાં શ્રધ્ધાબેન પાર્થભાઇ ચંદાસણા (ઉ.૩૩) નામના ગુર્જર સુથાર મહિલાએ માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. હજુ સાત દિવસ પહેલા જ આ મહિલાએ દિકરીને જન્મ આપ્યો હતો.

જાણવા મળ્યા મુજબ શ્રધ્ધાબેને આજે સવારે પિતા ગોવિંદભાઇના ઘરે વિશ્વનગરમાં હતાં ત્યારે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર શ્રધ્ધાબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. તે ડિલીવરી કરવા માવતરના ઘરે આવ્યા હતાં. સાસરૂ પણ માવતરના ઘરથી નજીકમાં જ છે. સાત દિવસ પહેલા સિઝેરીયનથી દિકરીનો જન્મ થયો હતો. આજે અચાનક શ્રધ્ધાબેને કોઇપણ કારણોસર આ પગલું ભરી લીધું હતું. નવજાત બાળા મા વિહોણી થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. શ્રધ્ધાબેન બે બેહન અને એક ભાઇમાં મોટા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)