News of Friday, 29th March 2024
રાજકોટ તા.૨૯: જામનગર રોડ બજરંગવાડી પુનીતનગરમાં રહેતા યુવાનને રોકડા રૂા.૩ લાખ અને સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ આપી બજરંગવાડી પુનીતનગરની મહિલાએ ઇમીટેશનના દાગીના ધાબડી દઇ રૂા.૬ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ બજરંગવાડી-૬ પુનીતનગર શેરી નં.૧ માં રહેતા અશોકભાઇ દામજીભાઇ જેઠવા (ઉ.વ.૪૬) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઇન્દિરા સર્કલ પાસે દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી
ક્રિષ્ના સમીપભાઇ શાહ સામે ફરીયાદ નોંધાવી છે. અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે સોફા બનાવવાની મજુરી કામ કરે છે. ગત તા. ૧૭-રના રોજ પત્ની મનીષાબેન ઇન્દીરા સર્કલ પાસે શ્રધ્ધા હોસ્પીટલની બાજુમાં દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં ધરમની બહેન કુસુમબેન ધીરૂભાઇ ઘોડાસરાના ઘરે માતાજીના મઢે પ્રસંગ હોવાથી જમવા ગયા હતા અને ત્યાં પત્ની મનીષાબેનને ક્રિષ્ના શાહ સાથે મુલાકાત અને ઓળખાણ થઇ હતી. બાદ બીજા દિવસે આ ક્રિષ્ના શાહ પોતાના ઘરે આવેલ અને પત્ની તથા પુત્રીને વાત કરેલ કે તમે અમને નાના-મોટા સોનાના દાગીના આપો હું તમને તે સોનાનું મોટુ સોનુ કરી પચ્ચીસ તોલા સોનુ કરીને પરત આપીશ તેમ વાત કરી. બાદ તા.ર૧-રના રોજ ક્રિષ્ના શાહ પોતાના ઘરે આવેલ અને પત્ની તેમજ દીકરીને વિશ્વાસમાં લઇ પત્નીના દાગીના સોનાનો એક તોલાનો ચેઇન, સાડા ત્રણ તોલાનો સોનાનો સેટ, બુટી સાથેનો, એક સોનાનુ પેંડલ, લેડીઝ વીંટી આ તમામ દાગીના લઇ ગઇ હતી. અને આ દાગીનાના બદલામાં અઠવાડીયામાં પચ્ચીસ તોલા સોનુ આપશે તેમ વાત કરીને લઇ ગયો હતો. બાદ તા.રર-રના રોજ ફરી આ ક્રિષ્ના શાહ અમારા ઘરે આવેલ અને પોતાને તેમજ પોતાની દીકરી તેમજ પોતાની પત્નીને વાત કરેલ કે ‘મારા પિતા પાલીતાણા મંદીરમાં ટ્રસ્ટી છે અને મારા પિતા સેવાનું કામ કરે છે જેથી તમે મને સકનના રૂા. ૩ લાખ આપો બાકીના રૂા. ૭ લાખ સેવામાંથી આપી તમને રૂા.૧૦ લાખ વાળુે આવાસ યોજનાનું ૩ બીએચકે વાળુ કવાર્ટર રૂા. ૩ લાખ અપાવી દેવાની લાલચ મને તેમજ મારી દીકરી તેમજ મારા પત્નીને આપી વિશ્વાસમાં લઇ પોતાના રૂા. ૩ લાખની ફિકસ ડીપોઝીટ તોડાવી પોતે આ ક્રિષ્ના શાહને રૂા. ૩ લાખ રોકડા આપ્યા હતા.
થોડા દિવસ પછી ક્રિષ્ના શાહે પોતાના ઘરે આવીને બુટી સાથેના બે સેટ તેમજ બે પેડલ સેટ તેમજ બે ચેઇન તેમજ એક બ્રેસલેટ તેમજ એક જોડી બુટી તેમજ એક જોડી બંગડી આપી ગયા હતા અને આ દાગીના પોતે ઘરમાં મુકી દીધા. આ પછી બીજા દિવસે પોતે તથા પત્નીએ દાગીના ચેક કરવા બજરંગવાડીમાં એક જવેલર્સમાં ચેક કરાવતા દાગીના ઇમીટેશનના ખોટા દાગીના હોવાનું સોનીએ જણાવ્ેલ જેથી પોતે ક્રિષ્ના શાહને અવાર નવાર ફોન કરીને પોતે આપેલા રૂા. ૩ લાખ તેમજ સોનાના પાંચ તોલાના દાગીના કિંમત રૂા. ૩ લાખ મળી કુલ રૂા. ૬ લાખ પરત માંગતા આ ક્રિષ્ના શાહ પોતાને અલગ-અલગ મુદતો આપતો હતો અને આજ દીન સુધી પોતાને રોકડા રૂપીયા તેમજ દાગીના પરત ન આપતા તેણે પોતાને તા.ર૬ સુધીમાં પૈસા પરત આપવાની પ્રોમીસરી નોટ લખી આપી હતી. આથી તેણે પૈસા કે દાગીના પરત ન કરતા પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એસ.બી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.