Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વ્‍યતિપાત યોગ : દાન માટેનો શ્રેષ્‍ઠ યોગ

ભગવદ્‌ ભકતો તેમજ શ્રઘ્‍ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ હેતુથી ‘વ્‍યતિપાત યોગ' વિશેની સાવ થોડીક જ માહિતી અહી આપી છે. આ માહિતી શ્રી મહાભારત, વરાહપુરાણ વગેરે ધર્મગ્રંથોમાંથી સાવ સારરૂપે અતિ સંક્ષેપમાં અહી લેવામાં આવી છે.

સૂર્ય-ચંદ્ર વ્‍યતિપાતને આશીર્વાદ આપતા કહે છે કે, ‘‘તું સર્વ યોગોનો સદા સ્‍વામી રહીશ, સર્વ યોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, ભલે તારા ઉત્‍પતિના સમયે કોઈ શુભ કાર્ય કરાશે નહિ, પરંતુ જે કંઈ સ્‍નાન-દાન વગેરે પુણ્‍ય કર્મ કર્યું હશે તે અક્ષય થાશે. જે મનુષ્‍ય તારા - વ્‍યતિપાત યોગના - સમયે સ્‍નાન-દાન-જપ તથા હોમ વગેરે જે કાંઈ ધર્મ કાર્ય કરશે તેનું પુણ્‍ય હે પુત્ર, તારી પ્રસન્‍નતાથી અને અમારા અનુગ્રહથી આ લોકમાં અનંતગણું થાઓ.''

આ અનંતગણું - અસંખ્‍યાત એટલે કે જેને ગણી ન શકાય, તે કેટલું તે સમજાવવા શાસ્‍ત્રમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે.

અમાસના દિવસે કરેલું દાન દસ ગણું, ક્ષયતિથિએ દીધેલું તેનાથી સો ગણું, સંક્રાંતિ કાળે આપેલું તેનાથી સો ગણું, તુલા અને મેષસંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણું, યુગાદિએ આપેલું તેનાથી સો ગણું, ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી સો ગણું, ચંદ્રગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, સૂર્ય ગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, પરંતુ વ્‍યતિપાતમાં આપેલું દાન તો અસંખ્‍યાત - અગણિત જ થાય છે એમ વેદ જાણનારા કહે છે.

વ્‍યતિપાતના સમયે જે દાન કર્યુ હોય તેને સૂર્ય તથા ચંદ્ર સો કલ્‍પોના (એક કલ્‍પ બરાબર ૪, ર૯, ૪૦, ૮૦૦૦૦ વર્ષો એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ કહેવામાં આવે છે. આ એક કલ્‍પનો સમય થયો છે. સંઘ્‍યાશ અલગ) આવા સો કલ્‍પોના અબજો વર્ષ સુધી સૂર્ય-ચંદ્ર, વ્‍યતિપાત યોગના સમયે દાન દેનાર દાતાને તે દાનનું ફળ પાછું આપ્‍યા જ કરે છે અને તે નિરંતર વઘ્‍યા જ કરી કયારેય ખૂટતું જ નથી.

શ્રીકૃષ્‍ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, ‘‘હે રાજન ! વિષુવ નામના પુણ્‍યકાળે, ચંદ્ર-સૂર્યના ગ્રહણ સમયે, વ્‍યતિપાતના સમયે તથા ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.''

દાન વિશે શ્રી ભગવાને કહયું છે કે, યજ્ઞ, તપ અને દાનમાં દૃઢ રહેવું તેને ‘સત્‌' કહેવામાં આવે છે તથા ઈશ્‍વર પ્રિત્‍યર્થે જે કર્મ હોય તેને પણ ભસત્‌ભ કહેવામાં આવે છે. (શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ૧૭:ર૭)

‘‘યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ ત્‍યજવા યોગ્‍ય નથી. પરંતુ એ તો કરવા યોગ્‍ય જ છે. કારણ કે, યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન - નિષ્‍કામ મનુષ્‍યોને પવિત્ર કરનારા છે.'' (શ્રીમદ્‌ભગવદ્‌ ગીતા : ૧૮:પ)

વ્‍યતિપાત યોગ પ્રારંભ તારીખ ૩૦ માર્ચ ર૦ર૪ ને શનિવારે રાત્રે ૧૦ કલાક અને ૪૬ મિનીટે થાય છે તથા વ્‍યતિપાત યોગ તારીખ ૩૧ માર્ચ ર૦ર૪ ને રવિવારે રાત્રે ૯ કલાક અને પ૩ મિનીટે પૂર્ણ થાય છે.

દાન : કાળા, સફેદ, લાલ તલ, ખિચડી, ગોળ, ગાયનું ઘી, ગાયનું દૂધ, દહીં, છાશ, સાકર, મધ, તેલ, મીઠું, ઋતુ અનુસાર ફળો, વસ્‍ત્રો, જળદાન તથા દીવાનું દાન વગેરે દાન મનુષ્‍યને પોતાની શ્રઘ્‍ધા અને શકિત મુજબ કરવા.

જે રાશિઓને શનિની સાડા સાતી ચાલુ હોય તેઓએ શનિગ્રહની શાંતિ માટે નિલમ, અડદ, કાળા તલ, કાળા વસ્‍ત્રો અને કાળુ ફુલ વિગેરેનું શ્રઘ્‍ધા-ભકિતપૂર્વક દાન કરવું.

વિશેષ નોંધ : આ ઉપરાંત વ્‍યતિપાત યોગ વિશેની ઘણી મહત્‍વની વાતો શાસ્‍ત્રોમાં આપવામાં આવી છે. જેનાથી વ્‍યતિપાત યોગનું વિશેષ મહત્‍વ જાણી શકાય છે. વધુ ચોકસાઈ માટે પંચાગ જોવું.

આ લેખ લખનારનું વ્‍યતિપાત યોગ વિશેનું પ્રવચન ૮-ભાગમાં તથા શ્રીકૃષ્‍ણ જન્‍માષ્‍ટમી, રાધાઅષ્‍ટમી, ચાર્તુમાસ મહાત્‍મ્‍ય, તુલસી, રૂદ્રાક્ષ અને પીપળાના પુજનનું મહત્‍વ, ૧ લાખ અશ્‍વમેઘ યજ્ઞનું પુણ્‍ય ઘરબેઠા મેળવો વિગેરે યુ-ટયૂબમાં ‘‘મોરે શ્‍યામ ચેનલ'' ઉપર ઉપલબ્‍ધ છે.

(4:41 pm IST)