Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગુજરાતમાં તમામ નગરપાલીકામાં સમાજવાદી પાર્ટી આપ બળે ઝુકાવશે : સુરેન્દ્રસિંહ યાદવ

પ્રદેશ ઉપપ્રમુખ પદે જામનગરના બિલ્ડર ભીખાભાઇ હેરભાની વરણી : ખેસ પહેરાવી સ્વાગત : સબળ વિકલ્પ બનવા નિરધાર : સૌરાષ્ટ્ર ગુજરાતની સમસ્યાઓ ઉકેલવા અવાજ ઉઠાવાનો કોલ

રાજકોટ તા. ૨૯ : 'ગુજરાતની સમસ્યાઓથી અમો વાકેફ છીએ અને લોકોના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવા સબળ વિકલ્પ બનવા અમો આગામી ચુંટણીઓમાં ગુજરાતની તમામ નગરપાલીકાઓમાં ઝુકાવીશું' તેમ આજે રાજકોટ ખાતે પત્રકાર પરીષદ સંબોધતા સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ હતુુ.

તેઓએ જણાવેલ કે ગુજરાતમાં ખેડુતોની હાલત કફોડી છે. જગતના તાતને તેમની જ મહેનતનું મુલ્યે મેળવવા લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. આંગણવાડીના બહેનોને મેડીકલનું કામ કરાવવામાં આવે છે. આમ મજદુરોને મળવા પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે યોજનાઓ છે તેનો લાભ લોકો સુધી પહોંચતો નથી. આ બધા મુદ્દાઓથી અમો વાકેફ છીએ અને અવાજ ઉઠાવીશું.

તેમણે જણાવેલ કે દિલ્હીમાં જે બન્યુ તે દુઃખદ છે. દિલ્હી હિન્દુસ્તાનનું દિલ છે. ત્યારે આ દિલ ખરડાય તેવી ઘટનાઓ બીન રહી છે. સરકારી તંત્ર શું ઉંઘમાં છે? સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે. જો દિલ્હીમાં જ આવુ થતુ હોય તો અન્ય પ્રદેશોની હાલત કેવી હશે? તે વિચારવુ જ રહ્યુ છે.

આ તકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશજી યાદવના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઇ વિશાળ સમર્થકો સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા જામનગરના બિલ્ડર ભીખાભાઇ હેરભાની પ્રદેશ ઉપપ્રમુખ પદે વરણી બદલ ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતુ.

સૌરાષ્ટ્રમાં રાજકોટના પ્રકાશભાઇ છૈયાને પ્રદેશ મહાસચિવ પદ સોંપાયા બાદ જામનગરને પણ નેતૃત્વ મળતા હવે સૌરાષ્ટ્રના કોઇપણ પ્રશ્નોને વાચા આપવા સમાજવાદી પાર્ટી સક્ષમ ભુમિકા ભજવશે તેવો નિરધાર વ્યકત કરાયો હતો.

તસ્વીરમાં પત્રકાર પરીષદ સંબોધતા સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરેન્દ્રસિંહ યાદવ (મો.૯૮૨૫૪ ૧૪૬૮૨) અને તેમની બાજુમાં પ્રદશે મહાસચિવ પ્રકાશભાઇ છૈયા, પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઇ હેરભા, અમદાવાદના રાકેશજી યાદવ, નિતીનભાઇ ત્રિવેદી, અભિલાષ ધનેશા, નૈનાબેન વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(1:02 pm IST)