Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મધરાતથી એસટીના પૈડા થંભી જશેઃ હજારો મુસાફરો લાચારી અનુભવશે

વોલ્વો- એકસપ્રેસ- ગુર્જરનગરી-મીની બસ- લોકલ બધુ ઠપ્પઃ વર્કશોપમાં પણ કામ અટકાવી દેવા આદેશો...: ડ્રાઇવરોને આજે રાત્રે ૧ર વાગ્યે જયાં બસ હોય ત્યાં થંભાવી દેવા યુનિયનોના આદેશોઃ મુસાફરોને એ પ્રમાણે મુસાફરી કરવા ચેતવણી

રાજકોટ તા.૧૯: એસટી બોર્ડના ૪૩ હજાર કર્મચારીઓ ડ્રાઇવર-કંડકટર-કારકુન- પટ્ટાવાળા તથા વર્કશોપના અન્ય તમામ કર્મચારીઓએ આજે મધરાતથી ૧ દિ'ની હડતાલ ઉપર ઉતરી જશે,  વિવિધ અનેક પડતર પ્રશ્નો સંદર્ભે આજે મધરાતે ૧૨ વાગ્યાથી ૨૧મીના મધરાતે ૧૨ વાગ્યા સુધી ૪૩ હજાર કર્મચારીઓ ૧દિ'ની હડતાલ ઉપર ઉતરી જશે.

આને કારણે એસટી. ને તમામ વ્યવહાર ઠપ્પ થઇ જશે, લોકલ, એકસપ્રેસ, વોલ્વો, ગુર્જરનગરી, મીની બસ સેવા ઠપ્પ થઇ જશે, કરોડોનું નુકશાન થશે, હજારો મુસાફરોની સ્થિતિ ખરાબ બની ગઇ છે,  બસના ડ્રાઇવરને યુનિયન દ્વારા મધરાત્રે ૧ર વાગ્યે જયાં બસ હોય ત્યાં થોભાવી દેવા સુચના અપાઇ છે.

આ હડતાલને કારણે એસટીના હજારો રૂટ થંભી થશે, ૭ હજારથી વધુ પૈડા થંભી જશે, એકલા રાજકોટ ડિવીઝનમાં જ ૧૨૦૦થી વધુ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦ હજારથી વધુ રૂટ રદ્દ થશે, લોકલ, એકસપ્રેસ-વોલ્વો સહિતની બસો એક દિ' માટે બંધ થઇ જશે.

એસટી કર્મચારીઓની હડતાલથી નિગમને ૧ દિ'માં કરોડોનું નુકસાન જશે, રાજકોટ ડિવીઝનને ૧દિ'માં ૫૦ લાખની ખોટ થશે.

હડતાલને કારણે હજારો મુસાફરો રઝળી પડશે, અત્યારથી જ દેકારો બોલી ગયો છે, રાજકોટ ડિવીઝનના ૨૫૦૦થી વધુ કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓએ પોતાના રજા રીપોર્ટ મુકી દીધા છે, તો, સામે સરકારે આ તમામ રજા રીપોર્ટ રદ્દ કરવા આદેશો પણ કર્યા છે. (પ-૧૯)

 

(11:57 am IST)