Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

કાલથી રાજકોટમાં પુષ્ટિ તત્ત્વો ''રેણુ- વેણુ- ધેનુ''નું દિવ્ય રસપાન કરાવતો ત્રિદિવસીય કથા સત્સંગ

વલ્લભવંશના વૈષ્ણવાચાર્ય પૂ.પા.શ્રી દ્વારકેશલાલજી ભાગવતમાં પ્રતિબિંબિત થતાં પુષ્ટિતત્ત્વોનું પ્રેરણાપાન કરાવશે : ઉદયનગરમાં નવનિર્માણાધિન ચંપારણ્યધામ હવેલી વૈષ્ણવ પરિવારે માટે શ્રધ્ધા અને સંસ્કૃતિનું સ્થાન બની રહેશે : આવતીકાલ શુક્રવાર થી રવિવાર સુધી વ્રજભૂમિના અલૌકિક અનુભવ અને દિવ્ય પ્રેમરસનું પાન કરાવતી ત્રિદિવસીય કથાનો લાભ લેવા વૈષ્ણવો અને ભાવિક નગરજનોને શ્રી દ્વારકેશ ગ્રુપ, ચંપારણ્યધામ હવેલીનું નિમંત્રણ

રાજકોટ,તા.૨૮: અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી બ્રીજ પાસેના ઉદયનગરમાં પુષ્ટિ સંસ્કારોનું સિંચન કરતી ''ચંપારણ્યધામ હવેલી''ના નવનિર્માણના પરિપ્રેક્ષ્યમાં તા.૨૯ શુક્રવાર થી તા.૧ ડિસેમ્બર રવિવાર સુધી વ્રજના દિવ્ય પ્રેમરસની અમૃતધારા વર્ષાવતી ''રેણુ- વેણુ- ધેનુ'' ત્રિદિવસીય કથાનું રાજકોટમાં પ્રથમ વખત આયોજન થયું છે. દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠના ગૃહાધિપતિ પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ભાગવતમાં પ્રતિબિંબિત થતાં પુષ્ટિ પંચતત્વોને કેન્દ્રમાં રાખીને વ્રજની લીલાઓનું પ્રેમરસ પાન કરાવશે.

કથા તથા અન્ય કાર્યક્રમોની વિગતો આપતાં દ્વારકેશ ગ્રુપના વૈષ્ણવ શ્રેષ્ઠિઓ જણાવે છે કે, પૂ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ઉપર બિરાજતાં સ્વરૂપો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગિરીરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી મહાપ્રભુજી હાલ બેકબોન પાર્કમાં બિરાજે છે. તે વાજતે- ગાજતે નિજગૃહે પધારશે, તા.૨૯ શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ઓમનગર સર્કલ સામે,  સ્વામીનારાયણ મંદિર પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ ખાતેથી વર્ણાંગી વાજતે- ગાજતે પ્રસ્થાન થશે. સવારે ૯:૩૦ વાગ્યે નવનિર્માધિન ચંપારણ્યધામ હવેલીનું ભૂમિપૂજન અને બપોરે ૩:૩૦ વાગ્યે પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના વરદ્ હસ્તે દીપપ્રાગટય થશે.

ત્રણ દિવસના આ કથા સત્સંગ દરમ્યાન ચંપારણ્યધામ હવેલી ખાતેના પૂ.શ્રીના નિવાસસ્થાને બ્રહ્મસંબંધ થશે. પૂ.મહારાજશ્રીની પધરામણી તથા બ્રહ્મસંબંધ લેનાર ઈચ્છુક વૈષ્ણવોએ સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટમાં હરિ ગુરૂ વૈષ્ણવોના સુખાર્થે શ્રી ચંપારણ્યધામ હવેલીના નવ નિર્માણનો આરંભ થઈ ચૂકયો છે, જેમાં પ્રભુના સુખાર્થે નિજમંદિર, ડોલ તિબારી, શૈયા મંદિર, ફૂલધર, રસોઈઘર, કૃષ્ણ ભંડાર, આચાર્ય નિવાસ, વૈષ્ણવોના ઉતારા, સત્સંગ હોલ, કિર્તન હોલ, બાલ પુષ્ટિ, સિંચન, પાઠશાળા, પુષ્ટિય સાહિત્ય તથા ગૌશાળા નિર્માણાધીન છે.

વૈષ્ણવો તથા ભાવિક નગરજનોને શ્રી દ્વારકેશ ગ્રુપ- ચંપારણ્યધામ હવેલી દ્વારા નિમંત્રણ અપાયું છે, આ કાર્યક્રમની વિશેષ વિગતો માટે મો.૯૪૨૭૨ ૨૦૮૩૯ તથા ગોંડલમાં મો.૯૯૧૩૨ ૨૧૧૧૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્વશ્રી પરસોતમભાઈ બાલધા, ગાંડુભાઈ ડોબરીયા, વિઠલભાઈ ઉમરેટીયા, ભીખુભાઈ વીસપરા, ભરતભાઈ સાવલીયા, અમૃતલાલ કણસાગરા અને બાવનજીભાઈ ભાલોડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)